વિરપુરના જલારામ ગામે જેતપુરની એક મહિલાને ઢોર માર માર્યા બાદ ફરાર આરોપી પોલીસના હાથે ગણતરીના કલાકોમાં જ ઝડપાઈ ગયો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ પ્રેમ પ્રકરણમાં હત્યા કર્યાની કબૂલાત કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વિરપુરના જલારામ નગરમાં રહેતી કંચનબેન વાઘેલા નામની પરિણીત મહિલા જેતપુરના એક કારખાનામાંથી મજૂરી કામ પતાવી સાંજે પોતાના ઘરે પરત જતી હતી. દરમિયાન રસ્તાના કિનારે નિર્જન જગ્યાએ કોઈ અજાણ્યા શખ્સે કંચનબેનને ઢીકાપાટુનો માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
ઘટનાની જાણ થતાં જ વીરપુર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કંચનબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને લઈ ગયો હતો. બીજી તરફ નાસી ગયેલા હત્યારાનો પીછો કરીને થોડી જ કલાકોમાં બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં આરોપીની ઓળખ નારણભાઈ ડાલીયા (ઉંમર 40, રહે. દેરડી ધાર, જેતપુર) તરીકે થઈ છે. મૃતક કંચનબેન તેના પતિ સાથે 15 વર્ષ પહેલા હત્યારા નારણના મકાનમાં ભાડે રહેતી હતી. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો. જોકે 6 વર્ષ પહેલા કંચનબેન તેના પતિ સાથે વીરપુર રહેવા ગયા હતા અને નારણ સાથે સંબંધ તોડી નાખ્યો હતો. તેમ છતાં હત્યારાએ કંચનબેનનો પીછો કરવાનું બંધ કર્યું ન હતું.