રાજભવન સંકુલ રોશનીથી ઝગમગી ઉઠ્યું: રાજ્યપાલે રાજભવન ખાતે ‘યજ્ઞ-હવન’ કર્યું
પ્રધાનમંત્રીએ ભારતીય સંસ્કૃતિ અને વારસાનું સન્માન કર્યું છેઃ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
(GNS),તા.22
ગાંધીનગર,
અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં રાઘવ સ્વરૂપ શ્રી રામના અભિષેકના ઐતિહાસિક અવસરે રાજભવનના પ્રાંગણમાં ભવ્ય રંગોળી સાથે દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રામ જ્યોતિ પ્રગટાવી હતી. સમગ્ર સંકુલ ભવ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ પ્રસંગે કહ્યું હતું કે, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એ બલિદાન, પ્રેમ અને સહિષ્ણુતાના પ્રતીક છે. તે આવનારી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ભારતીય સંસ્કૃતિ અને વારસાની પુનઃસ્થાપના કરી છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ શુભ દિવસની શરૂઆત રાજભવન પરિસરમાં યજ્ઞ-હવનથી કરી હતી. તેમણે રાજભવનમાં ટેલિવિઝન પર રામ મંદિરમાં શ્રી રામની સ્થાપનાની ઐતિહાસિક, અલૌકિક, પવિત્ર અને ઊર્જાસભર ક્ષણો જોઈ હતી. લાખો ભારતીયોની સાથે અત્યંત ભાવુક એવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારતીય મૂલ્યો અને સર્વોચ્ચ આદર્શો અને ભારતીય સંસ્કૃતિમાં લોકોની અતૂટ શ્રદ્ધાને જાળવી રાખવા બદલ શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો અને અભિનંદન પાઠવ્યા.
સાંજે રાજભવનના પ્રાંગણમાં આકર્ષક રંગોળી પ્રસરી હતી. ચોમેર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા અને રાજ્યપાલે રામ જ્યોતિ પ્રગટાવીને આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉપસ્થિત સૌને મોં મીઠું કરાવીને પ્રસંગની શુભેચ્છાઓ વહેંચી હતી.