સ્થાનિક ડેસ્ક: વડોદરાના ખોડિયારનગરમાં ભૂંગળા અને પાપડી બનાવવાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અચાનક લાગેલી આગના કારણે આજુબાજુ રહેતા લોકો ભયભીત થઈ ગયા હતા અને અફરા-તફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
મહત્ત્વની વાત એ છે કે, આ ફેક્ટરીમાં ભૂંગળા અને પાપડી બનાવવા માટેના કાચા માલનો સ્ટોક હોવાથી આગ લાગી હતી. ત્યાં હાજર લોકોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આગ પર કાબુ ન મેળવી શકાતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ લાગતાની સાથે જ વીજ વિભાગે વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. આ આગના કારણે ફેક્ટરીને ઘણું નુકસાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે.