અમદાવાદઃ ગુજરાતમાં રાજ્ય સરકારે શાળાઓમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂકો કરવાનો નિર્ણય લેતા ટાટ અને ટેટ પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. અને શિક્ષકોની કાયમી ભરતી કરવાની માગ કરી રહ્યા છે. બીજીબાજુ સરકારે જ્ઞાન સહાયકની ભરતી માટે પ્રાથમિક વિભાગની ભરતીના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. હવે આગામી તા. 17 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. કરાર આધારિત ભરતીમાં ઓછા ફોર્મ ભરાતા તારીખ લંબાવવામાં આવી હોવાનું કહેવાય છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારો જ્ઞાન સહાયકની ભરતીનો વિરોધ કરી રહ્યા છે. આંદોલનકારી ઉમેદવારોએ ફોર્મ ન ભરવાની અપીલ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પર 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય લેતા તેનો ટાટ અને ટેટ ઉતિર્ણ થયેલા ઉમેદવારોએ વિરોધ કર્યો છે. ઉમેદવારોની આ લડતને બાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીએ પણ સમર્થન આપ્યું છે. એટલું જ નહીં પણ ભાજપના એક ધારાસભ્યએ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને જ્ઞાન સહાયકોની જગ્યાએ શિક્ષકોની કાયમી ભરતી કરવાની માગ કરી છે. બીજીબાજુ શિક્ષણ વિભાગે જ્ઞામ સહાયકો માટે જે અરજી મંગાવવામાં આવી હતી. એમાં અરજી ન કરવા ટાટ અને ટેટ પાસ ઉમેદવારોએ ઝૂંબેશ ચલાવી હતી. એટલે એવું કહેવાય છે. કે, પુરતા પ્રમાણમાં પ્રાથમિક વિભાગમાં જ્ઞાન સહાયકો માટેની અરજીઓ ન આવતા તેની મુદતમાં વધારો કરવાની ફરજ પડી છે. હવે 17 સપ્ટેમ્બર સુધી અરજીના ફોર્મ ભરી શકાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારે જ્ઞાન સહાયકની 11 મહિનાના કરાર અધારિત ભરતીનો ઠરાવ પાસ કર્યો હતો. જેનો રાજ્યભરમાંથી વિરોધ ઉઠ્યો છે. ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યા છે. તેઓની માંગ છે કે જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવી જાઈએ. ત્યારે હાલ તો જ્ઞાન સહાયકોની ભરતી માટે અરજી કરવાની તારીખમાં વધારો કરી દેવામાં આવ્યો છે.