દિલ્હી: સુપ્રીમ કોર્ટે કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સંજય સિંહની ધરપકડ અને તેના પછીના રિમાન્ડ વિરુદ્ધ આમ આદમી પાર્ટીના સાંસદની અરજી પર હજુ સુધી રાહત આપી નથી. કોર્ટે આ કેસમાં વિગતવાર સુનાવણી માટે 5 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને S.N.V. ભટ્ટીની ખંડપીઠે આ કેસની સુનાવણી કરતા સંજય સિંહને વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બરે નોટિસ જારી કરી હતી અને સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્ર અને EDને જવાબ આપવા કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટે AAP નેતાને અધિકારક્ષેત્ર ધરાવતી કોર્ટ સમક્ષ નિયમિત જામીન અરજી દાખલ કરવાની સ્વતંત્રતા આપી હતી. દરમિયાન રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ એમ.કે. નાગપાલે શનિવારે AAP સાંસદ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર સુનાવણી મુલતવી રાખી હતી અને આગામી સુનાવણી 12 ડિસેમ્બરે નક્કી કરી હતી. અગાઉ, EDએ આ કેસમાં સિંહ વિરુદ્ધ 60 પાનાની પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે તે ષડયંત્ર, મની લોન્ડરિંગ અને આરોપીઓને મદદ કરવામાં સામેલ હતા. કેન્દ્રીય એજન્સીએ 4 ઓક્ટોબરના રોજ નોર્થ એવેન્યુ વિસ્તારમાં સંજય સિંહના ઘરે તપાસ હાથ ધર્યા બાદ તેની ધરપકડ કરી હતી. સંજય સિંહની ધરપકડ પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આપ નેતા મનીષ સિસોદિયા બાદ આ કેસમાં બીજી મોટી ધરપકડ છે.
સુપ્રીમ કોર્ટે આ કેસમાં વિગતવાર સુનાવણી માટે 5 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે. આ સાથે જ કોર્ટે સંજય સિંહને કમિટી સમક્ષ વ્યક્તિગત રીતે પોતાનો જવાબ દાખલ કરવા માટે સંસદ ભવન જવાની શરતી પરવાનગી આપી છે. જો કે, શરતોમાં સામેલ છે કે આ સમયગાળા દરમિયાન તે મીડિયા કે પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વાત નહીં કરે અને તેને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપવામાં આવશે નહીં. ખરેખર, સંજય સિંહે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ધરપકડ અને રિમાન્ડને પડકારતી દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જોકે તેમની અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. આ પછી સંજય સિંહે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.