સુરત, સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલી એક નિર્દાેષ સગીરાને ચાર હવસખોરોએ પોતાની હવસનો શિકાર બનાવી સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
આ ચકચારી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં જ એક સગીર વયના આરોપી સહિત કુલ ચાર નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ઉમરપાડા વિસ્તારમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન ચાર શખ્સોની મેલી નજર આ સગીરા પર પડી હતી. આ નરાધમોએ સગીરાને પટાવી-ફોસલાવી બસ સ્ટેશનની પાછળ આવેલા એક અવાવરું સ્થળે લઈ ગયા હતા.
નિર્જન સ્થળનો લાભ ઉઠાવી આ હવસ ભૂખ્યા નરાધમો સગીરા પર તૂટી પડ્યા હતા અને એક પછી એક એમ ચારેય લંપટોએ વારાફરતી સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરી માનવતાને લજવી હતી. આ ભયાનક ઘટના બાદ પીડિતાએ હિંમત હાર્યા વગર પોતાના પરિવારને તમામ આપવીતી વર્ણવતા પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ પરિવારે સહેજ પણ વિલંબ કર્યા વિના પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ગુનાની ગંભીરતાને જોઈને તાત્કાલિક ધોરણે પીડિતાને તબીબી પરીક્ષણ (મેડિકલ ચેકઅપ) માટે હોસ્પિટલ ખસેડી હતી અને એસપી રાજેશ ગઢિયા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક કક્ષાએથી મળેલી બાતમીના આધારે પોલીસે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીઓ સુરેશ ઉકાભાઈ વસાવા, અરવિંદ રામજીભાઈ વસાવા, વિજય બાબુભાઈ વસાવા અને એક સગીર વયના શખ્સને દબોચી લીધા હતા. હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપ અને પોક્સો એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધી, તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.SS1MS

