(પ્રતિનિધિ) ગોધરા, દાહોદ સ્માર્ટ સિટીમાં રખડતા પશુઓનો આતંક દિવસેને દિવસે વધતો જતા શહેરજનોમાં ભારે ભય અને રોષ ફેલાયો છે. તાજેતરમાં ગધેડાની અડફેટે પૂર્વ કાઉન્સિલર દિનેશ સીકલીગરનું દુઃખદ મોત નિપજતાં મામલો વધુ ગંભીર બન્યો છે. આ ઘટનાને પગલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરીએ હોબાળો મચાવી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે દાહોદ શહેર “સ્માર્ટ સિટી” હોવા છતાં હકીકતમાં “ફોરેસ્ટ સિટી” જેવી હાલત બની ગઈ છે, જ્યાં રસ્તાઓ પર રખડતા ઢોર, ગાયો, ગધેડા અને કુતરાઓનો ત્રાસ સતત વધતો જાય છે. આ સ્થિતિના કારણે સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે અને અકસ્માતોની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.
પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા નગરપાલિકા પર ભ્રષ્ટાચાર અને બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેઓએ જણાવ્યું કે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ અસરકારક પગલાં લેતું નથી, જેના કારણે આવી દુર્ઘટનાઓ બનતી રહે છે. કાર્યકરોએ મૃતક દિનેશ સીકલીગરના પરિવારને યોગ્ય વળતર આપવાની તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.
કલેક્ટરને સોંપાયેલા આવેદનપત્રમાં કોંગ્રેસે ધારદાર સવાલો ઉઠાવ્યા હતા કે સ્માર્ટ સિટીના નામે થતા વિકાસના દાવા ક્યાં સુધી સાચા છે, જ્યારે જમીન પર લોકો રખડતા પશુઓના ત્રાસથી પીડાઈ રહ્યા છે.
કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો તંત્ર તાત્કાલિક પગલાં નહીં લે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન અને ધરણા કરવામાં આવશે. હાલ શહેરજનોમાં એક જ માંગ ઉઠી રહી છે કે રસ્તાઓ પરથી રખડતા પશુઓનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.

