સુરતમાં લગ્નના પાંચમા દિવસે ત્રણ લાખના દાગીના લઈ દુલ્હન રફુચક્કર
સુરત, પુણા વિસ્તારમાં રહેતા રત્નકલાકાર સાથે લગ્ન કરી નાસિકની લૂંટેરી દુલ્હન રૂ.૩.૦૪ લાખનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયાની ફરિયાદ પુણા પોલીસ મથકમાં નોંધાઈ છે.
પુણાગામ સોસાયટીમાં રહેતા પ્રફુલ દેવરાજભાઈ ગોહિલ (ઉં.૩૭) હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. વર્ષ ૨૦૧૫માં તેના લગ્ન થયા હતા, જોકે તેમની વચ્ચે મનમેળ નહીં રહેતા વર્ષ ૨૦૨૩માં છૂટાછેડા લઈ લીધા હતા.
ત્યારબાદ વર્ષ ૨૦૨૪માં તેને લગ્ન કરવાના હોવાથી પોતાના સમાજના મોહન રામજી ટાંકનો સંપર્ક કર્યાે હતો. એ મોહને પોતાના મિત્ર જીતેન્દ્રકુમાર જેરુપચંદ જૈન લગ્ન કરાવતો હોવાનું કહ્યું હતું અને નાસિકમાં તેની પાસે એક કન્યા હોવાનું પણ જણાવ્યું હતું. બાદમાં તારીખ ૪-૯-૨૦૨૪ના રોજ મોહને ફોન કરીને પ્રફુલને પોતે નાસિક કન્યા જોવા માટે રહ્યો હોવાનું કહ્યું હતું. શીતલ નામની કન્યા સંસ્કારી અને દેખાવડી છે.
તેના પિતા નથી તેમ કહ્યું હતું બાદમાં પ્રફુલને વીડિયો કોલથી વાત કરાવી હતી. પ્રફુલને કન્યા પસંદ પડતા તેણે લગ્નની હા પાડી હતી. ત્યારબાદ મોહન અને જીતેન્દ્રે શીતલ બાબુરામ નિકમ અને તેની માતા શોભના તથા મામા માધવને લઈને તેમના ઘરે આવ્યા હતા.
અને રૂપિયા ૧.૯૦ લાખમાં લગ્ન નક્કી કર્યા હતા. આ રૂપિયા લઈ લીધા બાદ તારીખ ૫-૯-૨૦૨૪ના રોજ કામરેજ રામેશ્વર મંદિરમાં તેઓએ લગ્ન કરી લીધા હતા. જો કે , ત્યારબાદ લગ્નના પાંચમા જ દિવસે શીતલ ઘર છોડીને ઘરેણા લઈ નાસી ગઈ હતી. શીતલે મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. આ અંગે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

