સુરત, ડાયમંડની સાથે ટેકસટાઈલ નગરી તરીકે ઓળખ ધરાવતા સુરતમાં પણ ઈરાન યુદ્ધની અસર જોવા મળી રહી છે. સુરતની ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીમાં ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિસાના શ્રમિકોની મોટી સંખ્યામાં કામ કરે છે. ઈરાન યુદ્ધના કારણે ગેસનો પુરવઠો ખોરવાતા અનેક લોકો વતન પરત ફરી રહ્યા છે.
પરપ્રાંતિયો મોટાભાગે નાના ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા હોય છે પરંતુ હાલ આવા ગેસ સીલિન્ડર મળી રહ્યા નથી. ઉપરાંત હોટલોબંધ થવાથી તેમને ઝટકો લાગ્યો છે. સામાન્ય રીતે સુરતના કપડા ઉદ્યોગમાં રવિવારે અડધા દિવસની રજા હોય છે પરંતુ ડાઈંગમાં ઉપયોગમાં લેવાતા ગેસના અપૂરતા પુરવઠાના કારણે શનિ-રવી બે દિવસની રજા કરી દેવામાં આવી છે.
ગેસની અછતના કારણે ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ પર અસર થઈ છે તો બીજી તરફ વિવિધ ડાઈંગ મિલોમાં કામ કરતા કારીગરો પણ ઝપેટમાં આવ્યા છે. તમામ લોકો પાસે એલપીજી સિલિન્ડર નથી. નાના સિલિન્ડરમાં ગેસ ભરાવીને તેઓ રસોઈ બનાવતા હોય છે.
આ સિલિન્ડર બંધ થતાં તેઓ ઢાબા અને રેસ્ટોરન્ટ તરફ વળ્યા હતા પરંતુ ગેસની અછતના કારણે ત્યાં ભાવ વધી ગયા છે. સામાન્ય રીતે ૬૦ રૂપિયામાં મળતી થાળી ૧ર૦ રૂપિયા થઈ ગઈ છે જેના કારણે શ્રમિકો વતન જઈ રહ્યા છે.
રેલવે અધિકારીના કહેવા પ્રમાણે ઈરાન-ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ કયારે અટકશે તેની અનિશ્ચિતતા હોવાથી યુપી, બિહાર, ઓડિસાના શ્રમિકો વતન પરત ફરી રહ્યા છે.
રેલવે અધિકારીઓનું કહેવું છે કે, ટ્રેનોનું સંચાલન સામાન્ય છે. મુસાફરોની ઓકયુપેંસી પણ ઠીક છે. ટ્રેનો ઓવરલોડ નથી. ટ્રેનમાં આવવા કે ઉપડવા સમયે ભીડ થવી સ્વાભાવિક છે. સુરત અને ઉધના સ્ટેશન પર ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થા લાગુ છે. ટોચના અધિકારીઓ સ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છે.

