અમરેલી, સાવરકુંડલા શહેરમાં ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે જીવદયા અને સેવાભાવનો અનોખો સંદેશ આપતું ‘૫૧૦૦ શ્રીફળ કીડીયારું અભિયાન’ ભવ્ય રીતે યોજાયું હતું. તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ તથા આશ્રમ પરિવાર દ્વારા આયોજિત આ અભિયાનમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લઈ અબોલ જીવોની સેવા દ્વારા પુણ્યનો લાભ લીધો હતો.
સેવાકીય કાર્ય સાથે સંકળાયેલા સતીષ પાંડેએ જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી સાવરકુંડલા વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે અને દર વર્ષે ધાર્મિક પ્રસંગોએ આ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે આ વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય સંસ્કૃતિમાં ‘જીવદયા એ જ પરમો ધર્મ’ અને ‘વસુધૈવ કુટુંબકમ’ જેવી મૂલ્યોનું વિશેષ સ્થાન છે. સનાતન ધર્મ અનુસાર અબોલ જીવોની સેવા કરવી એ ભગવાનની સેવા સમાન માનવામાં આવે છે.
આ જ સંસ્કૃતિને જાળવી રાખવાના હેતુથી પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી રામ સુંદર દાસ બાપુના આશીર્વાદથી આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તિભાવ અને શ્રદ્ધાનું અનોખું સંમિશ્રણ જોવા મળ્યું હતું. અભિયાન અંતર્ગત શુદ્ધ ગાયના ઘી, ગોળ, સાકર, તલ, શિંગદાણા અને પાંચ પ્રકારના ધાન્યના લોટના મિશ્રણથી વિશેષ શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા. આ શ્રીફળોને આશ્રમ ખાતે આવનારા ભાવિકોને વિનામૂલ્યે પ્રસાદ રૂપે આપવામાં આવ્યા હતા.
ભાવિકોએ આ પ્રસાદને પોતાના ખેતરો, સીમ વિસ્તારો અને નિર્જન જગ્યાઓ પર પધરાવીને કીડીઓ જેવા અબોલ જીવોને આહાર પૂરો પાડ્યો હતો. આ સેવાકીય પ્રવૃત્તિમાં બાળકો, મહિલાઓ અને વડીલો સહિત દરેક વયના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. અભિયાન દ્વારા માત્ર ધાર્મિક જ નહીં પરંતુ પર્યાવરણ અને જીવસૃષ્ટિ પ્રત્યેની જવાબદારીનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
કીડીઓને આહાર આપવાથી પ્રકૃતિના સંતુલન જાળવવામાં મદદ મળે છે અને માનવ જીવનમાં કરુણા અને સહાનુભૂતિની ભાવના વિકસે છે. શાસ્ત્રોમાં પણ કીડીયારું પૂરવાનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. માન્યતા મુજબ આ સેવા કાર્ય દ્વારા રાહુ, કેતુ અને શનિ જેવા ગ્રહોની અશુભ અસર ઓછી થાય છે તેમજ પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
સાથે જ જે ઘરમાં જીવદયા કરવામાં આવે છે ત્યાં સુખ-સમૃદ્ધિ અને લક્ષ્મીનો વાસ રહે છે એવી અતૂટ શ્રદ્ધા લોકોમાં જોવા મળી રહી છે. આ અભિયાન દ્વારા સાવરકુંડલા પંથકમાં આધ્યાÂત્મકતા અને સેવાભાવનું અનોખું ઉદાહરણ સ્થાપિત થયું છે. હજુ પણ જે ભાવિકો આ સેવા કાર્યમાં જોડાવા ઇચ્છે છે, તેઓએ તાત્કાલિક હનુમાન આશ્રમ, ગાયત્રી મંદિર સામે, કે.કે. હાઈસ્કૂલ પાછળ, સાવરકુંડલા ખાતે સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.SS1MS

