મોતને હાર્ટ અટેક ગણાવાતાં છેવટે ભાંડો ફૂટ્યો
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે
ભાવનગર,ભાવનગર જિલ્લાના વરતેજ વિસ્તારમાં પત્નીએ પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોનો વિરોધ કરતા ઉશ્કેરાયેલા પતિએ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. શરૂઆતમાં સાસરિયા પક્ષ દ્વારા આ કુદરતી મૃત્યુ હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.
સિહોરના મઢડા ગામે રહેતા જોરસંગભાઈ દેહાભાઈ ડોડીયાએ આ અંગે વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની દીકરી અલ્પાએ તેના ભાઈઓને મળીને પોતાની વ્યથા ઠાલવી હતી. તેણે જણાવ્યું હતું કે, પતિ અર્જુનને અન્ય યુવતી સાથે સંબંધ છે અને તે તેને ઘરમાં રાખવા માંગે છે. જેનો વિરોધ કરતા અર્જુન તેને મારપીટ કરતો હતો. ગત ૧૯ માર્ચના રોજ સાસરિયા તરફથી અલ્પાનું હાર્ટ અટેકથી અવસાન થયું હોવાનો ફોન આવ્યો હતો. જોકે, પિયર પક્ષને શંકા જતાં તેમણે પોસ્ટમોર્ટમની માંગ કરી હતી.
વરતેજ સરકારી હોસ્પિટલ ખાતે મૃતદેહ પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. ત્યારબાદ સર ટી. હોસ્પિટલ ખાતે કરવામાં આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અલ્પાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું.વરતેજ પોલીસ મથકના પી.આઈ.એ જણાવ્યું હતું કે, પત્નીની હત્યા કરનાર અર્જુન કાળુ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. ૩૧ વર્ષીય આરોપી અર્જુનને તે જ ગામમાંથી ઝડપી પાડી લોકઅપ હવાલે કરાયો છે અને તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે.ss1

