જામનગર, જામનગરના વુલનમીલ વિસ્તારમાં ગુમ થયેલી એક વિધવા મહિલાની નિર્મમ હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આડા સંબંધોમાં પૈસાની માંગણીથી કંટાળીને એક યુવકે મહિલાની હત્યા કરી તેની લાશને બે દિવસ સુધી કોથળામાં ભરી બંધ મકાનમાં છુપાવી રાખી હતી.
જે પુત્રની માતાની હત્યા કરી હતી, તે જ પુત્ર સાથે હત્યારો પોતે પોલીસ સ્ટેશન અને શોધખોળમાં સાથે ફરતો હતો. આખરે લાશમાંથી દુર્ગંધ આવતા ગભરાયેલા હત્યારાએ ગુનાની કબૂલાત કરી હતી.
પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું છે.શહેરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી અને મૂળ મથુરાની વતની ૪૦ વર્ષીય રીન્કી દેવી બન્ટુસિંહ કઠેરીયા નામની વિધવા ગત તા. ૨૩ માર્ચના રોજ એકાએક લાપતા થઈ હતી. જે બાદ પાડોશમાં જ રહેતા વિજય વિઠ્ઠલ ઓડીચના ખંઢેર જેવા બંધ મકાનમાંથી કોથળામાં ભરેલો મૃતદેહ મળી આવ્યો હતો.
મૃતદેહ ગળે ટૂંપો દીધેલી હાલતમાં હતો. આ અંગે મૃતકના પુત્ર રોહિત કઠેરિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે રોહિતના મિત્ર વિજય વિઠ્ઠલ ઓડિચની ધરપકડ કરી છે. વિજયે પોલીસ પૂછપરછમાં કબૂલ્યું છે કે, વર્ષ ૨૦૨૧માં રીન્કી દેવી વિધવા બન્યા પછી, પુત્ર રોહિતની મિત્રતાના કારણે તે મહિલાના સંપર્કમાં આવ્યો હતો.
છેલ્લા ચારેક વર્ષથી બંને વચ્ચે ગાઢ સંબંધો હતા. રીન્કી દેવી વારંવાર પૈસાની માંગણી કરતી હતી અને પૈસા ન આપવા બદલ પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતી હતી. આ બાબતથી કંટાળીને વિજયે ૨૩મી તારીખે રાત્રિના સમયે મહિલાને પોતાના કાકાના ઘરે લઈ જઈ લૂંગી વડે ગળે ટૂંપો દઈ હત્યા કરી નાખી હતી. ત્યારબાદ મૃતદેહને કોથળામાં નાખી સંતાડી દીધો હતો, પરંતુ દુર્ગંધ આવ્યા બાદ મામલો ખુલી જવાની બીકે તેણે કબૂલાત કરી હતી.SS1MS

