ગાંધીનગર, ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ૨૪ કલાકમાં ડૂબવાના બે જુદા જુદા બનાવ બન્યા હતાં. તેમાં ૪ યુવકો પાણીમાં ગરકાવ થઇ ગયા હતાં. તે પૈકી ૨ યુવકના મૃતદેહ ફાયરબ્રિગેડના તરવૈયાઓની ભારે શોધખોળ બાદ મળી આવ્યા હતાં.
આ ઘટનાને પગલે પરિવારોમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. જાણવા મળતી વિગત મુજબ, ડૂબી જવાની બંને ઘટનામાં એક ભાઈને ડૂબતો જોઈ તેને બચાવવા જતાં બીજો ભાઈ પણ કેનાલમાં પડતા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અત્યાર સુધી બે યુવકના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય બે યુવકની શોધખોળ હજુ પણ ચાલુ છે.
આ અંગે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રથમ બનાવ લીંબડિયા અને કરાઈ વચ્ચે વલાદ પાસે બન્યો હતો. મૂળ ધોલેરાના વતની અને હાલ અમદાવાદમાં રહેતા સુનિલ આંબલિયા અને રોશન જયંતીભાઈ આંબલિયા કેનાલ પાસે ગયા હતા. તે દરમિયાન હાથપગ ધોવા જતાં એક યુવકનો પગ લપસી ગયો હતો.
તેને ડૂબતો જોઈ બીજા યુવકે બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યુ હતું, પરંતુ પાણીના પ્રવાહમાં બંને યુવકો લાપતા થઈ ગયા હતા. ફાયરબ્રિગેડ તંત્રએ હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન સુનિલનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે રોશનની હજુ પણ શોધખોળ ચાલી રહી છે. બીજી ઘટના દહેગામ નરોડા હાઈવે પર રાયપુર નજીક બની હતી.
અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતો નિખિલ વાઘેલા કોઈ કારણસર પરિવારથી રિસાઈને ઘરેથી નીકળી ગયો હતો અને રાયપુર પાસેની કેનાલમાં ઝંપલાવ્યું હતું. તેને બચાવવા તેનો ભાઈ પણ કેનાલમાં પડ્યો હતો. બંને ભાઈ આંખના પલકારે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમે તપાસ હાથ ધરી નિખીલ વાઘેલાની લાશ શોધી કાઢી છે, જ્યારે તેના ભાઈનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.
આ બંને ઘટનામાં પોલીસ તરફથી મળતી વિગત મુજબ, નરોડાની પાર્શ્વનાથ ટાઉનશીપમાં સંયુક્ત પરિવારમાં રહેતા જયંતીભાઈ વાઘેલાના બે પુત્રો નિખિલ અને નીરજ વચ્ચે રવિવારે બપોરના સમયે કોઈ બાબતે ઝઘડો થયો હતો. તેના કારણે માઠું લાગતા બંને ભાઈ આવેશમાં આવીને ઘરેથી નીકળી ગયા હતા અને દહેગામ રોડ તરફ આવેલી નર્મદા કેનાલ પર પહોંચ્યા હતા.SS1MS

