નવી દિલ્હી: IPL 2026માં મંગળવારે ગુજરાત ટાઇટન્સ સામે પોતાની પ્રથમ મેચ રમનાર પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરને દંડ ફટકારવામાં આવ્યો છે. મેચ દરમિયાન ગંભીર ઈજાગ્રસ્ત શ્રેયસને ધીમી ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે.
શ્રેયસ અય્યરને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. “આઇપીએલ આચાર સંહિતાની કલમ 2.22 હેઠળ સીઝનમાં તેની ટીમનું આ પ્રથમ ઉલ્લંઘન હતું, જે ન્યૂનતમ ઓવર-રેટના અપરાધો સાથે સંબંધિત છે. તેથી, કેપ્ટનને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે,” IPL દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.
શ્રેયસ અય્યરને પણ મેચ દરમિયાન ગંભીર ઈજા થઈ હતી. કૂપર કોનોલીનો તીક્ષ્ણ શોટ નોન-સ્ટ્રાઈક પર ઊભેલા શ્રેયસ અય્યરના જમણા કાંડા પર વાગ્યો. ઈજાની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અય્યર તરત જ ક્રિઝ પર સૂઈ ગયો. તબીબી ટીમ દ્વારા સારવાર બાદ, તે બેટિંગ કરવા માટે તૈયાર હતો પરંતુ ટૂંક સમયમાં તેની વિકેટ ગુમાવી દીધી હતી.
મેચ વિશે વાત કરીએ તો, પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી, ગુજરાત ટાઇટન્સ (જીટી)ને 20 ઓવરમાં 6 વિકેટે 162 રન સુધી મર્યાદિત કરી. જીટી માટે કેપ્ટન શુભમન ગિલે 27 બોલમાં 39 રન અને જોસ બટલરે 33 બોલમાં 38 રન બનાવ્યા હતા. ગ્લેન ફિલિપ્સે 17 બોલમાં 25 રનની ઇનિંગ રમી હતી.
પંજાબ તરફથી વિજય કુમાર વૈશાકે 3, યુઝવેન્દ્ર ચહલે 2 અને માર્કો જાનસેને 1 વિકેટ લીધી હતી. પંજાબે 19.1 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 165 રન બનાવીને 3 વિકેટે મેચ જીતી લીધી હતી. પંજાબ માટે કૂપર કોનોલીએ 72 રનની અણનમ ઈનિંગ રમી હતી અને તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.
જીટી માટે પ્રખ્યાત કૃષ્ણાએ 4 ઓવરમાં 29 રન આપીને 3 વિકેટ લીધી હતી. રબાડા, અશોર શર્મા, રાશિદ ખાન અને વોશિંગ્ટન સુંદરને 1-1 વિકેટ મળી હતી.

