સુરતમાં પકડાયેલું ૧૪૦૦ કિલો પનીર નકલી સાબિત થયું- પામોલિન તેલ, એસિડ અને દૂધ પાઉડરથી બનાવવામાં આવેલ પનીર સ્વાસ્થ્ય માટે નુકસાનકારક
સુરત, શહેરના પાંડેસરા વિસ્તારમાં ધુળેટીના તહેવાર પર પકડાયેલા અધધ ૧૪૦૦ કિલો પનીરના શંકાસ્પદ જથ્થા મામલે હાલ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. આ પનીર નકલી હોવાનું શંકા વ્યક્ત કરી તંત્રએ તેને તપાસ માટે લેબમાં મોકલ્યો હતો.
જોકે આ કાર્યવાહીના એક મહિના બાદ શંકાસ્પદ પનીરનો હાલ રિપોર્ટ આવ્યો છે. જેમાં ખરેખર આ પનીર નકલી હોવાનું ખુલતા ખડભડાટ મચ્યો છે. ત્યારે એસઓજી પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે, પરંતુ વારંવાર સુરતમાં નકલી ચીજવસ્તુઓ પકડાવાના કિસ્સાઓ સામે આવતા સુરતવાસીઓ રોષે ભરાયા છે.
વિગતે વાત કરીએ તો, ધુળેટી પહેલા ગત ૩ માર્ચના રોજ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભીડભંજન સોસાયટીમાંથી સુરત પોલીસની એસઓજી ટીમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને દરોડા પાડ્યા હતા.
આ દરમિયાન મહેશકુમાર પૂર્ણાશંકર શર્મા નામનો શખ્સ ત્યાં ગેરકાયદેસર રીતે પનીર બનાવવાનું કારખાનું ચલાવતો હોવાનું ખુલ્યું હતું અને ૧૪૦૦ કિલો પનીર સીલ કરી તેના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ આજે આવતા તેમાં આ પનીર ખરેખર નકલી હોવાનું ખુલ્યું છે.
પોલીસે આપેલી માહિતી અનુસાર, અહીં બનાવાતું પનીર દેખાવમાં અસલી જેવું લાગતું હોવા છતાં તેમાં દૂધની જગ્યાએ પામોલિન તેલ, થોડું દૂધ અને મિલ્ક સોલિડ જેવા ઘટકોનો ઉપયોગ કરીને ‘એનાલોગ પનીર’ તૈયાર કરવામાં આવતું હતું. આ બનાવટમાં ફૂડ ગ્રેડના કેમિકલના બદલે ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગ થતો હતો, જે સામાન્ય રીતે કારખાનામાં વપરાતું જોખમી કેમિકલ છે.
આ મામલે વધુ માહિતી આપતા ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, ર્જીંય્ની તપાસમાં વધુ એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે કે, જ્યાંથી આ ૧૪૦૦ કિલો નકલી પનીર પકડાયું છે તે કારખાનું સુરતમાં હોવા છતાં તેનું એફએસએસએઆઈ લાઇસન્સ મહારાષ્ટ્રના વસઈના સરનામે નોંધાયેલું હતું. આરોપી મહેશ શર્મા આ લાઇસન્સનો ઢોંગ કરીને વર્ષોથી સુરતમાં ગેરકાયદેસર રીતે પનીરનું ઉત્પાદન કરી બજારમાં સપ્લાય કરતો હતો.
તપાસમાં ખુલેલી માહિતી અનુસાર, આરોપી મહેશ શર્માએ અહીં છેલ્લા બે વર્ષથી નકલી પનીર બનાવી પાંડેસરા વિસ્તારમાં છૂટક દુકાનોમાં સપ્લાય કરતો હતો. તે દરરોજ નાની નાની દુકાનોને ૨૨૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ૪૦૦ કિલો પનીર વેચતો હતો.
પ્રાથમિક તપાસમાં તેણે પાંડેસરા વિસ્તારમાં આવેલી ધર્મરાજ ડેરી, ઓમ સાઈ ડેરી, રાધે કૃષ્ણ ડેરી, રાજ્યકમલ ડેરીમાં આ પામોલિન ઓઇલ, દૂધ પાઉડર અને એસિડથી તૈયાર કરેલું નકલી પનીર વેચતો હતો અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો.
આ રિપોર્ટમાં પનીર ખાવા લાયક ન હોવાનું સામે આવ્યું છે. આ પનીરમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું અને બીઆર રેટિંગ વધુ હોવાનું તથા વેજ ઓઇલનું પ્રમાણ વધુ હોવાનું સામે આવ્યું છે. વિશેષજ્ઞોના મતે આવા એસિડનો ખોરાકમાં ઉપયોગ કરવાથી માનવ શરીરના પાચનતંત્ર પર ગંભીર અસર પડી શકે છે. લાંબા સમય સુધી આવા પદાર્થોનું સેવન કરવાથી કિડની, પેટ અને અન્ય આંતરિક અંગોને નુકસાન થવાની શક્્યતા રહે છે.

