અમદાવાદ, કહેવાય છે કે, લાલચ બુરી બલા હૈ! સારો ધંધો-નોકરી કરતા અનેક લોકો વધુને વધુ કમાણીની લાલચમાં રૂપિયા ગુમાવી બેસે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે.
અહીં મિહિર પરીખ નામના શખસે તેની પાંચ જેટલી કંપનીમાં અનેક લોકો પાસેથી શેર બજાર અને ટુર બુકિંગના નામે રોકાણ કરાવીને અંદાજે રૂ. ૨૦૦ કરોડનું ફૂલેકું ફેરવી દીધું છે. અત્યાર સુધી પોલીસ ચોપડે મિહિર પરીખ, તેમની પત્ની ધારા પરીખ અને માતા ગીતા પરીખ સામે રૂ. ૩૫ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ગઈ છે.
આ કેસમાં સેટેલાઈટ પોલીસે ત્રણેયની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. મહત્ત્વનું છે કે, આ ત્રણેય સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ૧૦થી વધુ, ક્રાઈમ બ્રાન્ચમાં ૧ અને ઈકોનોમિક ઓફેન્સ વિંગમાં ૨ ફરિયાદ નોંધાઈ છે. આ સિવાય અન્ય પીડિતો પણ ફરિયાદ નોંધાવવા આવી રહ્યા છે. મિહિર પરીખ અમદાવાદના આંબલી બોપલ રોડ પર આવેલા નોર્થ વન એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતો હતો. આ ઉપરાંત સરગાસણમાં એક બંગલા અને મોડાસરમાં એક ફાર્મનો પણ તે માલિક છે.
રોકાણકારોને આકર્ષીને પૈસા પડાવવા માટે વૈભવી જીવન જીવતો મિહિર પરીખ લક્ઝુરિયસ કાર રાખતો. અમદાવાદના ઈસ્કોન વિસ્તારમાં તે એમ.પી. ફાઈનાન્સિયલ સર્વિસીસ નામની કંપની ચલાવતો. મિહિર પરીખ મોટી હસ્તી હોવાની આભા ઊભી કરવા મુખ્યમંત્રી સહિત અનેક રાજકીય નેતાઓ સાથે પડાવેલી તસવીરોનો પણ ઉપયોગ કરતો.
એટલું જ નહીં, જાણીતા ગુજરાતી અખબારમાં પણ તે ‘ફાઇનાન્સિયલ એક્સપર્ટ’ તરીકે કોલમ લખતો અને લોકોને પ્રભાવિત કરવા પણ તેનો ઉપયોગ કરતો. મિહિર પરીખ, ધારા પરીખ અને ગીતા પરીખની પોલીસે કરેલી પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું કે, ‘મિહિરને ખબર પડી કે ગુનો દાખલ થયો છે, ત્યારે તે ઘર છોડીને રામદેવ નગર વિસ્તારની એક ૫ સ્ટાર હોટેલમાં છુપાઈ ગયો હતો.
ત્યાં તેણે ૬૧૫ નંબરનો રૂમ રાખ્યો હતો. હોટલમાં તેણે એવું કહ્યું હતું કે, મારા ફ્લેટમાં રિનોવેશન ચાલે છે એટલે અહીં થોડાક સમય સુધી રોકાઈશ. એ રૂમનું લોકેશન એવું હતું, જ્યાંથી તે સીધી પોલીસ સ્ટેશન પર નજર રાખી શકતો હતો કે પોલીસ ક્યાં જાય છે અને શું કરે છે.’ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, મિહિર પરીખ, ધારા પરીખ અને ગીતા પરીખના કુલ ૪૭ બેંક ખાતા છે અને તેઓ પાંચ કંપનીનું સંચાલન કરી રહ્યા છે.
હાલ આ તમામ સામે કોર્ટમાં ચેક બાઉન્સના કુલ ૨૧ કેસ ચાલી રહ્યા છે. આ પૈકી મિહિર પરીખ સામે ૧૧, ધારા પરીખ સામે ૫ અને માતા ગીતા પરીખ સામે કુલ પાંચ કેસ સામેલ છે. આ સમગ્ર ગેરરીતિઓની જાણ મિહિર પરીખના પત્ની અને માતાને પણ હતી. આ તમામ કંપનીમાં તેઓ પણ મિહિર પરીખના વર્કિંગ પાર્ટનર તરીકે સામેલ છે. આ કૌંભાડમાં અંદાજે રૂ. ૨૦૦ કરોડની છેતરપિંડી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.SS1MS

