(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ૪૮ વોર્ડના ૧૯ર ઉમેદવારોની યાદી જાહેર કરી તેમના ફોર્મ પણ ભરાવી દીધા છે અને તેની અંતિમ ચકાસણી પણ પૂર્ણ થઈ છે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જુના જોગીઓની બાદબાકી કરી નવા ચહેરાઓને તક આપી છે.
પરંતુ કોંગ્રેસમાંથી વંડી ટેકી ભાજપમાં ગયેલા કેટલાક પ્રતિભાશાળી નેતાઓની પણ બાદબાકી કરવામાં આવી છે જેના કારણે તેમની કારકિર્દી પણ હાલ પૂરતો પૂર્ણ વિરામ મુકાયો હોય તેવી ચર્ચા ચાલી રહી છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ર૦ર૧માં યોજાયેલ ચૂંટણીમાં તત્કાલિન વિરોધ પક્ષના નેતા દિનેશ શર્મા ચાંદખેડામાંથી ચૂંટણી લડ્યા હતા જયાં તેમની હાર થઈ હતી ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં. સુત્રોનું માનીએ તો ભારતીય જનતા પાર્ટીના તત્કાલિન પ્રદેશ પ્રમુખે તેમને બાપુનગર વિધાનસભાની ટિકિટ આપવાની બાહેંધરી આપી હતી
પરંતુ તેમને ટિકિટ ન આપતા તેમના સ્થાને દિનેશ કુસ્વાને ટિકિટ આપી હતી જેના કારણે દિનેશ શર્મા થોડા સમય માટે હાંસિયામાં ધકેલાઈ ગયા હતાં તેમ છતાં મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી તેમના માટે એક મોટી આશા સમાન હતી જેમાં પણ તેમની બાદબાકી કરવામાં આવી હતી.
મ્યુનિ. કોર્પોરેશનની વર્તમાન ચૂંટણીમાં દિનેશ શર્માને કુબેરનગર વોર્ડમાંથી ટિકિટ મળે તેવી આશા હતી જેના માટે તેમણે તમામ જરૂરી પ્રમાણપત્રો પણ એકત્રિત કર્યાં હતાં પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તેમને કુબેરનગર કે અન્ય કોઈપણ વોર્ડમાંથી ટિકિટ આપી નથી.
દિનેશ શર્મા પ્રતિભાશાળી નેતા છે તેમજ અધિકારીઓ પાસેથી કામ કરાવવાની તેમની પાસે આવડત પણ છે. કોંગ્રેસમાં વિરોધ પક્ષના નેતા તરીકે તેમણે ર૦૧પ થી ર૦ર૦ એમ પાંચ વર્ષ ફરજ બજાવી હતી સાથે સાથે યુવા કોંગ્રેસને પણ જીવંત કરી હતી
પરંતુ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ સાથેનો ગ્રજગાહ તેમને નડી ગયો હતો તેમજ ર૦ર૧માં તેમને તેમનો મૂળ વોર્ડ છોડી અન્ય વોર્ડમાંથી ચૂંટણી લડવાની ફરજ પડી હતી તેઓ ચાંદખેડામાંથી ચૂંટણી લડ્યા હતા કમનસીબે તેમની હાર થઈ હતી ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં પરંતુ ત્યાં પણ તેમને હાંસિયામાં ધકેલાયા હોય તેવી ચર્ચા ચાલી રહી છે.
કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જે નેતાઓ જોડાયા છે તે પૈકી મોટાભાગના નેતાઓની સક્રિય કારકિર્દી લગભગ પૂર્ણ થઈ ગઈ છે એક માત્ર નરહરિ અમીનને ૧૦ વર્ષ બાદ રાજયસભાના સાંસદ બનવાની તક મળી હતી તેવી જ રીતે જવાહર ચાવડાને એક વર્ષ માટે મંત્રી બનવાની તક આપવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં પણ નરહરિ અમીન તેમજ દિનેશ શર્મા સાથે જે લોકો ભાજપમાં જોડાયા છે તેમની કારકિર્દી પર પણ હાલ પૂરતો પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે તેવી ચર્ચા ચાલી રહી છે.

