ગુજરાત રાજ્યમાં યોગનો વ્યાપ વધારવા અને યોગ શિક્ષણને વધુ સુદ્રઢ બનાવવાના ઉમદા હેતુ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની કચેરી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજી અને લકુલિશ યોગ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી મુકેશભાઇ શાહ ની વિષેશ ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU)કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે લકુલિશ યોગ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ શ્રી વિવેક મહેશ્વરી,લાઇફ મિશન સંસ્થાના સેક્રેટરી શ્રી એ.ડી. ગોહિલ,ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ખાસ ફરજ પરના અધિકારીશ્રી ડૉ. મૃણાલદેવી ગોહિલ,ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્ટેટ કો-ઓર્ડીનેટરશ્રી અનિલભાઇ ત્રિવેદી તેમજ લકુલિશ યોગ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શ્રી શિવમભાઇ ત્રિપાઠી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કરાર અંતર્ગત બંને સંસ્થાઓ આગામી સમયમાં યોગના ક્ષેત્રમાં પરસ્પર સહયોગ,ઉચ્ચ શિક્ષણ અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે સાથે મળીને કામ કરશે.
આ MoUયોગના ક્ષેત્રમાં શિક્ષણ અને વિકાસને એક નવી દિશા આપવા તરફનું એક મહત્વનું કદમ સાબિત થશે. જેનાથી રાજ્યમાં યોગના પ્રચાર-પ્રસારની સાથે યુવાનોને ખાસ કરીને ગુણવત્તાયુક્ત યોગ ટ્રેનિંગ અને રિસર્ચની નવી તકો પ્રાપ્ત થશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને લકુલિશ યોગ યુનિવર્સિટીના આ સંયુક્ત પ્રયાસથી રાજ્યમાં ‘યોગમય ગુજરાત’ના સંકલ્પને વધુ વેગ મળશે.

