દાહોદમાં ભાજપનો દબદબો યથાવત -વિપક્ષના ફોર્મ પરત ખેંચાતા જીત સરળ; લીમખેડામાં હવે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી જંગ
ગોધરા, દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની રહી છે. દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર-૫માં ભાજપને મોટો ફાયદો થયો છે, જ્યાં ભાજપના ઉમેદવાર જેરીકાબેન ચૌહાણ બિનહરીફ જાહેર થયા છે.
આમ આદમી પાર્ટીની ઉમેદવાર સુમિત્રાબેન પંચાલે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા ચૂંટણી વિના જ ભાજપનો ઉમેદવાર વિજેતા બન્યો છે. આ સાથે જ નગરપાલિકાની કુલ ૩૬ બેઠકોમાંથી ભાજપના અત્યાર સુધી ૬ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર પણ બિનહરીફ જાહેર થયો છે.
તે જ રીતે દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર-૨માં પણ ભાજપને બિનહરીફ જીત મળી છે. અહીં ભાજપના ઉમેદવાર દર્શિત જગમોહન દિવાકર બિનહરીફ જાહેર થયા છે. કોંગ્રેસના ઉમેદવાર રિતેશ યાદવે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા ભાજપનો માર્ગ સરળ બન્યો હતો.
જોકે, આ વોર્ડમાં હજુ પણ ચૂંટણીનું માહોલ યથાવત છે, કારણ કે બાકીના ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. વોર્ડ નંબર-૨માં હવે ભાજપના ત્રણ અને કોંગ્રેસના ત્રણ ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. હાલની સ્થિતિએ ભાજપના કુલ ૪ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હોવાનું જણાવાયું છે.
બીજી તરફ, લીમખેડા તાલુકા પંચાયત બેઠક પર પણ મહત્વપૂર્ણ રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ટીનાબેન પ્રજાપતિએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. ટીનાબેન પહેલા ભાજપ સાથે જોડાયેલા હતા, પરંતુ તેમને ટિકિટ ન મળતા તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસે તેમને લીમખેડા બેઠક પરથી ઉમેદવારી આપી હતી. જોકે, હવે તેઓએ ચૂંટણીમાંથી પીછેહઠ કરતા આ બેઠક પર સમીકરણો બદલાઈ ગયા છે.
ટીનાબેન પ્રજાપતિના ફોર્મ પરત ખેંચ્યા બાદ હવે લીમખેડા બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે સીધી જ ટક્કર જામવાની છે. આ બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે દાહોદ જિલ્લામાં ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે અને આવનારા દિવસોમાં વધુ રાજકીય ઉથલપાથલ જોવા મળી શકે છે.

