છત્રાલની ઘટનામાં કલોલની સેશન્સ કોર્ટે ૧ લાખનો દંડ ફટકાર્યો અને પીડિતાને ર લાખનું વળતર આપવા હુકમ કર્યો
ગાંધીનગર, એસિડ એટેકના કેસમાં સજા કરવામાં આવી હોવાનો ગાંધીનગર જિલ્લામાં ચુકાદો કલોલની સેશન્સ કોર્ટે આપ્યો છે. કલોલના છત્રાલ બ્રિજ નીચે ટ્રાફિક નિયમન કરતી મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંકી જીવલેણ હુમલો કરનાર આરોપી અશોક રમેશભાઈ રાવતને કલોલની સેશન્સ કોર્ટે ૧પ વર્ષની સખત કેદની સજા ફટકારી અને ૧ લાખનો દંડ ફટકાર્યો છે, જયારે પીડિતાને ર લાખનું વળતર આપવા પણ હુકમ કર્યો છે.
કલોલના ચોથા એડિશનલ સેશન્સ જજ બી.આર. રાજપૂતે ચુકાદાની શરૂઆત એક સંસ્કૃત શ્લોકથી કરીને સમાજમાં કાયદો અને વ્યવસ્થાનું મહત્વ સમજાવ્યું હતું. કેસની વિગતો મુજબ ૧૮ જુલાઈ ર૦રપના રોજ છત્રાલ ઓવરબ્રિજ નીચે ટ્રાફિક પોઈન્ટ પર ચાર મહિલા હોમગાર્ડ અને એક પુરૂષ હોમગાર્ડ ફરજ પર હાજર હતા.
ત્યારે આરોપી અશોકભાઈ રાવતે (કલોલ) પોતાની રિક્ષા ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ઉભી રાખતા મહિલા હોમગાર્ડ ભાવનાબેન પરમારે તેને રિક્ષા ખસેડવાનું કહેતા અશોક ઉશ્કેરાઈ ગયો હતો અને બોલાચાલી કરી ત્યાંથી જતો રહ્યો હતો.
ત્યારબાદ રિક્ષા ચાલક અશોક ઘરેથી એસિડની બોટલ લઈને ધસી આવતાની સાથે મહિલા હોમગાર્ડ ઉપર એસિડ છાટયું હતું. જેમાં તે શરીરે દાઝી ગઈ હતી આ અંગે ફરિયાદના આધારે કલોલ પોલીસે આરોપી અશોકભાઈ રાવતની ધરપકડ કરી હતી અને કલોલ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે આરોપીને ૧પ વર્ષની સખત કેદની સજા, રૂ.૧ લાખનો દંડ અને પીડિતાને રૂ.ર લાખનું વળતર આપવા હુકમ કર્યો હતો.

