(પ્રતિનિધિ) મોડાસા, સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓના પડઘમ વાગતા જે હવે ચૂંટણી પ્રચાર તેજ ગતિએ છે ત્યારે સાબરકાંઠાના વિજયનગરના ચિઠોડા ખાતે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ‘આપ’ના ગુજરાત પ્રદેશના નોર્થ ઝોનના જોઇન્ટ સેક્રેટરી અને દંતોડના વતની ચંદુભાઈ પટેલે પોતાના ૨૦૦થી વધુ સમર્થકો સાથે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો.
લાંબા સમયથી આમ આદમી પાર્ટીમાં તાલુકા, જિલ્લા અને પ્રદેશ સ્તરે સંગઠનને મજબૂત કરવા માટે સક્રિય ભૂમિકા ભજવનાર ચંદુભાઈ પટેલે પક્ષને ‘રામ-રામ’ કરી દીધા છે. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રદેશ નેતાગીરી સામેની નારાજગી અને સંગઠનમાં યોગ્ય પ્રતિસાદ ન મળવાને કારણે તેઓએ ભાજપમાં જોડાવવાનો નિર્ણય લીધો છે. દબદબાભેર કેસરિયો ધારણ કર્યોઃ
ચિઠોડા ખાતેના કાર્યક્રમમાં રાજ્યના મંત્રી પી.સી. બરંડાએ ચંદુભાઈ પટેલ અને તેમના સમર્થકોને ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, સાંસદ રમીલાબેન બારા, પ્રભારી અશોકભાઈ જોશી તેમજ તાલુકા પ્રમુખ ડૉ. પરેશભાઈ પટેલ સહિતના અગ્રણી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ચૂંટણીમાં પૂરી તાકાત લગાવવા કોલ આપતા ભાજપમાં જોડાયા બાદ ચંદુભાઈ પટેલે હુંકાર કરતા જણાવ્યું હતું કે, ‘અમે હવે ભાજપના ઉમેદવારોને જંગી મતોથી વિજયી બનાવવા માટે પૂરી તાકાત લગાવી દઈશું. મારા તમામ ૨૦૦ સમર્થકો હવે ભાજપની વિચારધારા સાથે રહીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય અપાવવા કટિબદ્ધ છે.’
આ પક્ષપલટાને કારણે સ્થાનિક રાજકારણમાં ગણગણાટ શરૂ થયો છે અને આગામી ચૂંટણીમાં ‘આપ’ના વોટબેંક પર તેની સીધી અસર પડવાની શક્યતા જણાઈ રહી છે.

