અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદ વિવાદ અને રાજદ્વારી તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગયો છે. તાજેતરમાં, અફઘાનિસ્તાને દાવો કર્યો છે કે તેના પાડોશી દેશ (પાકિસ્તાન) એ સીમાપારથી હુમલા કર્યા છે, જેના કારણે મોટા પ્રમાણમાં જાન-માલનું નુકસાન થયું છે. સોમવારે થયેલા આ હુમલાઓમાં 4 લોકોના મોત થયા હતા અને 70 લોકો ઘાયલ થયા હતા. ચિંતાજનક વાત એ છે કે ઘાયલોમાં 30 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
બંને દેશોના દાવા સામ-સામે છે
અફઘાનિસ્તાનનો આરોપ: અફઘાનિસ્તાન સરકારના નાયબ પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર હુમલાની નિંદા કરી. તેમણે લખ્યું – ફરી એકવાર, પાકિસ્તાની સૈન્ય શાસને કુનાર પ્રાંતના કેન્દ્ર ‘અસદાબાદ’ અને ‘મનવર જિલ્લા’ના વિવિધ વિસ્તારોમાં મોર્ટાર અને રોકેટથી ભારે બોમ્બમારો કર્યો છે.
પાકિસ્તાનનો ઇનકારઃ પાકિસ્તાનના માહિતી મંત્રાલયે આ આરોપોને સદંતર ફગાવી દીધા હતા. સોમવારે એક પોસ્ટ દ્વારા મંત્રાલયે કહ્યું- પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી સંપૂર્ણ રીતે સચોટ અને ગુપ્ત માહિતી પર આધારિત છે. તેમણે અફઘાનિસ્તાનના દાવાઓને વ્યર્થ અને નકલી ગણાવ્યા.
રાજદ્વારી વિરોધ અને અન્ય સરહદ અથડામણો
આ ઘટના બાદ બંને દેશો વચ્ચે રાજદ્વારી સ્તરે પણ તણાવ જોવા મળ્યો હતો. મંગળવારે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે કાબુલમાં પાકિસ્તાની દૂતાવાસના ‘ચાર્જ ડી અફેર્સ’ (ઈન્ચાર્જ)ને બોલાવ્યા. મંત્રાલયના એક નિવેદન અનુસાર, અફઘાનિસ્તાને કુનાર પ્રાંતની એક યુનિવર્સિટી સહિત રહેણાંક વિસ્તારો, સાર્વજનિક સંપત્તિઓ અને ‘ડ્યુરન્ડ લાઇન’ (અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ) નજીક પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા હુમલાઓ પર પોતાનો સખત વિરોધ વ્યક્ત કર્યો છે.
ચેકપોસ્ટ નાશ પામી
રેડિયો પાકિસ્તાને અહેવાલ આપ્યો છે કે મંગળવારે એક અલગ ઘટનામાં પાકિસ્તાને બલૂચિસ્તાનની સરહદે અફઘાન સુરક્ષા ચોકીઓને નષ્ટ કરી હતી. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે 2,600 કિલોમીટર લાંબી સરહદ છે. આ શ્રેણી પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વાથી શરૂ થાય છે અને દક્ષિણ-પશ્ચિમ પ્રાંત બલૂચિસ્તાન સુધી વિસ્તરે છે.

