કિર્તીદાન ગઢવી અને તેમના ભાગીદારોના કહેવાથી પોલીસ અધિકારીઓએ તેમને કસ્ટડીમાં ઢોર માર માર્યો હતો.-લોકગાયક કિર્તીદાન ગઢવીને ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ
(એજન્સી)અમદાવાદ, ગુજરાતના પ્રખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવી અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કાયદાકીય ગૂંચમાં ફસાયા છે. અમદાવાદના એક ઇવેન્ટ આૅર્ગેનાઇઝરને ગેરકાયદેસર રીતે ગોંધી રાખી ઢોર માર મારવાના ગંભીર આરોપ સાથે થયેલી અરજી પર સુનાવણી કરતાં ગુજરાત હાઇકોર્ટે કિર્તીદાન ગઢવી સહિત સીઆઈડી ક્રાઇમ સાયબર સેલના અધિકારીઓને નોટિસ ફટકારી છે.
અમદાવાદના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા ઇવેન્ટ આૅર્ગેનાઇઝર જયેશ પરમારે હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેમનો દાવો છે કે વર્ષ ૨૦૨૫ની નવરાત્રિ ઇવેન્ટના આયોજન માટે જયેશ પરમાર અને કિર્તીદાન ગઢવી વચ્ચે ભાગીદારી થઈ હતી. જો કે હિસાબ-કિતાબ અને નાણાકીય લેવડદેવડમાં વિવાદ સર્જાયો હતો.
આક્ષેપ છે કે ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ કોઈપણ પ્રકારના વોરંટ કે નોટિસ વગર સાયબર સેલ ગાંધીનગરના અધિકારીઓએ જયેશ પરમારને સિવિલ ડ્રેસમાં અટકાયત કરી હતી અને સવારના ૧૦થી મોડી રાતના ૨ વાગ્યા સુધી ગોંધી રાખ્યા હતા.
અરજદારનો દાવો છે કે કિર્તીદાન ગઢવી અને તેમના ભાગીદારોના કહેવાથી પોલીસ અધિકારીઓએ તેમને કસ્ટડીમાં ઢોર માર માર્યો હતો. આ અંગેના પુરાવા તરીકે મેડિકલ સર્ટિફિકેટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે.
જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અરજદાર જયેશ પરમારે પોતાની અરજીમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે આ સમગ્ર ઘટના પાછળ કિર્તીદાન ગઢવી મુખ્ય સૂત્રધાર છે.
સિવિલ વિવાદ હોવા છતાં કાયદો હાથમાં લઈને પોલીસ સાથે સાંઠગાંઠ કરીને તેમને હેરાન કરવામાં આવ્યા હતા. વધુમાં આક્ષેપ છે કે નવરાત્રિ દરમિયાન પોલીસ અધિકારીઓ માટે ૮,૦૦૦થી વધુ ટિકિટો મફત આપવામાં આવી હતી, જેના બદલામાં તેમજ રાજકીય વગના કારણે પોલીસે કિર્તીદાનના કહેવાથી આ કાર્યવાહી કરી હોવાની શક્યતા છે.
આ મામલે હાઇકોર્ટે ગંભીર નોંધ લેતાં કિર્તીદાન ગઢવી, એસપી રાજદીપસિંહ ઝાલા, સાયબર સેલના પીઆઈ બી. એમ. ચૌધરી અને પીએસઆઈ પરમારને ખુલાસો કરવા નોટિસ જાહેર કરી છે. કોર્ટે ૨૦ અને ૨૧ ફેબ્રુઆરીના પોલીસ સ્ટેશનના તમામ સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખવા હુકમ કર્યો છે, જેથી સત્ય શું છે તે બહાર આવી શકે.

