અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પોતાને મધ્યસ્થી તરીકે રજૂ કરવાની પાકિસ્તાનની કોશિશ બેકફાયર થઈ ગઈ છે. પાકિસ્તાનના આ પગલાને કારણે મુસ્લિમ દેશ સંયુક્ત આરબ અમીરાત (UAE) સાથે તેના રાજદ્વારી સંબંધો બગડી ગયા છે. UAEમાંથી પાકિસ્તાની કામદારોને મોટા પાયે દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે.
UAE પાકિસ્તાનથી કેમ નારાજ છે?
ખાડીમાં કેટલાક અઠવાડિયાના સંઘર્ષ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે મંત્રણા યોજવામાં પાકિસ્તાને મહત્વની ભૂમિકા ભજવી છે. હવે ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, UAE અત્યંત ગુસ્સે છે કે પાકિસ્તાને અમીરાતી પ્રદેશને નિશાન બનાવતા ઈરાની હુમલાની સખત નિંદા નથી કરી. આ નારાજગીના કારણે UAE દ્વારા પાકિસ્તાનીઓ વિરુદ્ધ આ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કોઈ પણ કારણ આપ્યા વિના હજારો પાકિસ્તાનીઓને દેશનિકાલ કરવામાં આવ્યા
ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે, કેટલાક પાકિસ્તાની કાર્યકરો અને સમુદાયના નેતાઓ સાથેની મુલાકાતોના આધારે અહેવાલ આપ્યો છે કે તાજેતરના અઠવાડિયામાં હજારો પાકિસ્તાની શિયા મુસ્લિમોને યુએઈમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ઘણા લોકો દાવો કરે છે કે તેમને દેશનિકાલ કરતા પહેલા કોઈપણ કારણ વગર અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
પાકિસ્તાની શિયા નેતાઓનું કહેવું છે કે ઈરાન સાથેના ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધોને કારણે તેમના સમુદાયના લોકોને ખાસ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સામુદાયિક સંસ્થાઓનો અંદાજ છે કે મધ્ય એપ્રિલથી હજારો પરિવારો દેશનિકાલથી પ્રભાવિત થયા છે.

