પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં શુક્રવારે થયેલા આતંકવાદી હુમલામાં 15 સુરક્ષા જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાની સેના અનુસાર, એક આત્મઘાતી બોમ્બર અને ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ સંયુક્ત રીતે સુરક્ષા ચોકી પર હુમલો કર્યો. સેનાએ કહ્યું કે હુમલા દરમિયાન સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરીને 12 આતંકીઓને ઠાર કર્યા અને પોસ્ટ પર કબજો કરવાના તેમના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. સેનાનું કહેવું છે કે આ હુમલો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) દ્વારા કરવામાં આવ્યો હતો. આ સંગઠન અફઘાનિસ્તાનના તાલિબાનથી અલગ છે, પરંતુ બંને વચ્ચે વૈચારિક અને વ્યૂહાત્મક સંબંધો ગણવામાં આવે છે. જોકે, TTPએ આ હુમલાની જવાબદારી તાત્કાલિક લીધી નથી.
પાકિસ્તાની સેનાના જણાવ્યા અનુસાર હુમલાખોરો પહેલા સુરક્ષા ચોકીમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ સુરક્ષાકર્મીઓએ તેમને અટકાવ્યા હતા. આ પછી આતંકવાદીઓએ વિસ્ફોટકોથી ભરેલું એક વાહન ચોકીની બહારની દીવાલ સાથે ઘુસાડી દીધું હતું. આ જોરદાર વિસ્ફોટથી સુરક્ષા ચોકીને ભારે નુકસાન પહોંચ્યું હતું અને ઘણા સુરક્ષાકર્મીઓ તેની ઝપેટમાં આવી ગયા હતા. સેનાએ કહ્યું કે આ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં 12 સૈનિકો, બે પોલીસકર્મીઓ અને વન વિભાગના પૂર્વ અધિકારીનો સમાવેશ થાય છે. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે પોસ્ટના મોટા ભાગને નુકસાન થયું હતું. આ પછી, સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને હુમલામાં સામેલ અન્ય આતંકવાદીઓને શોધવા માટે ઓપરેશન શરૂ કર્યું.
તાલિબાન સરકાર પર આરોપો
પાકિસ્તાન લાંબા સમયથી આરોપ લગાવે છે કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના લડવૈયાઓને અફઘાનિસ્તાનમાં સુરક્ષિત આશ્રયસ્થાનો મળે છે જ્યાંથી તેઓ સરહદ પાર કરીને પાકિસ્તાનમાં હુમલા કરે છે. જો કે, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે આ આરોપોને સતત નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેની જમીનનો ઉપયોગ કોઈપણ પડોશી દેશ વિરુદ્ધ થવા દેવામાં આવશે નહીં. આ મુદ્દાને લઈને બંને દેશો વચ્ચે ઘણી વખત તણાવ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે સરહદી વિસ્તારોમાં કાર્યરત આતંકવાદી નેટવર્ક પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ માટે સતત પડકાર બનીને રહે છે.

