જગદલપુર
છત્તીસગઢના બસ્તર જિલ્લામાં એક લગ્ન સમારોહમાં એસિડ એટેકનો મામલો સામે આવ્યો છે. અહીં એક પાગલ યુવકે વર-કન્યા પર એસિડથી હુમલો કર્યો. આ ઘટનામાં વરરાજા સહિત 10 જેટલા લોકો દાઝી ગયા હતા. તમામ ઘાયલોને જગદલપુરની મહારાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વાસ્તવમાં આ મામલો જિલ્લાના ભાનપુરી પોલીસ સ્ટેશન વિસ્તારના અમાગાંવનો છે. રિપોર્ટ્સ અનુસાર, સુધાપાલના રહેવાસી 23 વર્ષીય ડમરુ બઘેલના લગ્ન 19 વર્ષની સુનીતા કશ્યપ સાથે થવાના હતા. લગ્ન પ્રસંગમાં ચારે તરફ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. એકાએક લાઇટો જતી રહેતાં લગ્ન સમારોહમાં અવ્યવસ્થા સર્જાઇ હતી અને અંધારાનો લાભ લઇ એક પાગલ યુવકે વર-કન્યા પર એસિડ વડે હુમલો કર્યો હતો.
આ ઘટનામાં નજીકમાં બેઠેલા લોકો પણ એસિડના છાંટા પડતા દાઝી ગયા હતા. આ ઘટનામાં વર-કન્યા સહિત લગભગ 10 લોકો દાઝી ગયાના સમાચાર છે. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટના બાદ પાગલ યુવક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે