અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવા તબીબો, નર્સિંગ સ્ટાફ અને આરોગ્યકર્મીઓએ અંગદાન શપથ ગ્રહણ કર્યા
અમદાવાદ સિવિલ હોસ્પિટલે એક પરિવારની માફક અંગદાન ક્ષેત્રે કાર્ય કરી સમગ્ર દેશમાં ઓર્ગન ડોનેશન ક્ષેત્રમાં નામના મેળવી છે: ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા
બ્રેઈનડેડના કિસ્સામાં મહત્તમ અંગદાન થાય તેમજ અંગદાન પ્રવૃત્તિ જનઆંદોલન બને તે અતિ આવશ્યક: ધારાસભ્ય સંગીતાબેન પાટીલ
અમદાવાદ:મંગળવાર: અમદાવાદ સિવિલ હોસ્પિટલ થકી સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ૨૧૨ બ્રેઈનડેડ લોકોના અંગદાનથી ૭૦૦ થી વધુ લોકોને જીવદાન મળ્યું છે ત્યારે અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવાના હેતુ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અસ્મિતા ભવન હોલમાં અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘અંગદાનથી જીવનદાન’ના સંદેશ સાથે તબીબો,
નર્સિંગ સ્ટાફ અને આરોગ્યકર્મીઓએ અંગદાન શપથ ગ્રહણ કર્યા હતા. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.રાકેશ જોષી, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા, નગરસેવકો, વોર્ડના પ્રમુખો, સિવિલ હોસ્પિટલ, યુ.એન. મહેતા કાર્ડિયાક હોસ્પિટલ, આઈ.કે.ડી. કિડની હોસ્પિટલ, કિડની ઇન્સ્ટિટ્યુટના ૩૫૦ થી વધુ નર્સિંગ સ્ટાફ, સફાઈકર્મીઓ, વિદ્યાર્થીઓએ અંગદાનના શપથ ગ્રહણ કર્યા હતા અને અંગદાનને જનઆંદોલન બનાવવા પ્રેરણા મેળવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલે એક પરિવારની માફક અંગદાન ક્ષેત્રે કાર્ય કરી સમગ્ર દેશમાં ઓર્ગન ડોનેશન ક્ષેત્રમાં નામના મેળવી છે. તેમણે અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલના નર્સિંગ અને તબીબોની સેવાઓને બિરદાવી હતી.
પોતાના વિધાનસભા વિસ્તારમાં આવેલી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અનેક આરોગ્ય સુવિધા અને સંસાધનોથી સજ્જ છે, ત્યારે દર્દીઓ અને સિવિલ હોસ્પિટલના પ્રશાસન સાથે કોઈપણ જરૂરિયાત અને સેવાકાર્ય માટે તત્પર હોવાનું જણાવી અંગદાનના કિસ્સામાં જાતે બ્રેઈનડેડ વ્યક્તિના પરિજનોના કાઉન્સેલિંગ માટે સિવિલ હોસ્પિટલમાં આવતા હોવાનું ગર્વ સાથે જણાવ્યું હતું.
લિંબાયતના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલે જણાવ્યું હતું કે, અંગદાન સૌથી મહાન દાન છે. અમદાવાદ સિવિલમાં અંગદાન પ્રવૃત્તિઓને બિરદાવી સુરત સિવિલ હોસ્પિટલમાં ૭૭ બ્રેઈનડેડ લોકોના અંગદાનથી ૨૦૦ થી વધુ લોકોને નવજીવન મળ્યું હોવાનું જણાવી દર વર્ષે અચૂકપણે પોતાનો જન્મદિવસ પણ સુરતની નવી સિવિલ હોસ્પિટલના દર્દીઓની સાથે સેવાકીય પ્રવૃત્તિ તેમજ રક્તદાન કેમ્પો યોજીને ઉજવણી કરતા હોવાનું જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે,વડાપ્રધાનશ્રીના ટીબીમુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં અમે પ્રયાસરત છીએ. ટીબીના દર્દીઓને પ્રોટીન રિચ ખોરાકની જરૂરિયાતને ધ્યાને લઈ પોષણ કિટસ વિતરણ કરીએ છીએ. અમદાવાદ અને સુરત સિવિલ હોસ્પિટલના સ્ટાફ, સમગ્ર ગુજરાતના અંગદાન ક્ષેત્રે કામ કરતા તબીબો, નર્સિંગ સ્ટાફ, સહકર્મીઓને અંગદાનના સેવાકાર્યમાં મહત્વપૂર્ણ યોગદાન બદલ અભિનંદન આપ્યા હતા. જેને અંગોની જરૂર છે તેઓને બ્રેઈનડેડના કિસ્સામાં મહત્તમ અંગદાન થાય તે જરૂરી છે એટલે જ અંગદાન પ્રવૃત્તિ જનઆંદોલન બને તે આવશ્યક છે એમ ભારપૂર્વક કહ્યું હતું.
ગુજરાત સહિત ત્રણ રાજ્યથી સારવાર લેવા આવતા દર્દીનારાયણની સેવામાં સમર્પિત અમદાવાદ સિવિલ હોસ્પિટલે અનેક ઓપરેશનો, જટિલ સારવાર, દર્દીઓની મહત્તમ સેવાસારવારના કારણે ગુજરાતમાં આગવી ઓળખ બનાવી હોવાનું શ્રીમતી પાટિલે જણાવ્યું હતું. અને ગુજરાતની દરેક હોસ્પિટલો અને કોલેજોએ અંગદાનની પ્રવૃત્તિમાં જોડાવા આહ્વાન કર્યું હતું.

