ઓસ્ટ્રેલિયા સામે રવિવારે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 7 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ માટે ક્રિકેટ જગતમાં ઘણો ક્રેઝ હતો કારણ કે વિરાટ કોહલી અને રોહિત શર્મા 8 મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક્શનમાં જોવા મળ્યા હતા. બંને દિગ્ગજો ખરાબ રીતે નિષ્ફળ રહ્યા હતા. હાર બાદ કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે પાવર પ્લેમાં જ ત્રણ વિકેટ ગુમાવવાને કારણે તે મુશ્કેલ હતું. જો કે, તેણે એમ પણ કહ્યું કે આ હારમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે અને તેમાં સકારાત્મક બાબતો પણ છે.
મેચ બાદ ભારતીય સુકાની શુભમન ગિલે કહ્યું, ‘પાવર પ્લેમાં જ 3 વિકેટ ગુમાવ્યા બાદ કંઈ પણ આસાન થતું નથી. તમે હંમેશા મેચમાં વાપસી કરવાનો પ્રયાસ કરો છો. ઘણું શીખવા મળ્યું અને હકારાત્મક બાબતો પણ બની. અમારે 26 ઓવરમાં 130 રનનો બચાવ કરવાનો હતો અને અમે મેચને ખૂબ જ ઊંડાણમાં લઈ લીધી હતી, તેથી અમે તેનાથી સંતુષ્ટ છીએ. અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અમે જ્યાં પણ રમવા જઈએ છીએ ત્યાં ચાહકો મોટી સંખ્યામાં ભેગા થાય છે.
ટેસ્ટ બાદ ODIનો કેપ્ટન બનાવાયા બાદ શુભમન ગીલના નેતૃત્વમાં આ પ્રથમ વનડે હતી. વરસાદના કારણે મેચ વારંવાર ખોરવાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની બેટિંગ દરમિયાન વરસાદના કારણે રમત વારંવાર બંધ કરવામાં આવી હતી. જેના કારણે ભારતીય બેટ્સમેનોની એકાગ્રતા પણ તૂટી ગઈ હતી.
ભારતને પહેલો ફટકો ચોથી ઓવરમાં 13 રનના સ્કોર પર લાગ્યો હતો. રોહિત શર્મા 14 બોલમાં માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો. તેને જોશ હેઝલવુડે આઉટ કર્યો હતો. જે બાદ વિરાટ કોહલી બેટિંગ કરવા આવ્યો પરંતુ તે 8 બોલમાં ખાતુ ખોલાવ્યા વગર સ્ટાર્કના બોલ પર આઉટ થયો હતો. કોહલીના આઉટ થયાના થોડા સમય બાદ કેપ્ટન શુભમન ગિલ પણ પેવેલિયન પરત ફર્યો હતો.

