કર્ણાટક હાઈકોર્ટે તાજેતરમાં જ એક પુરુષ દ્વારા દાખલ કરાયેલી છૂટાછેડાની અરજીને ફગાવી દીધી છે. આ વ્યક્તિ બેંગલુરુની કોર્ટના નિર્ણય સામે અપીલ લઈને હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ફેમિલી કોર્ટના નિર્ણયને યથાવત રાખતા હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે પુરુષ પત્નીને બદલે “આજ્ઞાકારી નોકરાણી” ઈચ્છે છે. કોર્ટે એમ પણ કહ્યું કે લગ્ન એ બાળકોની રમત નથી અને લગ્નમાં પતિ-પત્ની બંનેએ સામાન્ય જીવન જીવવા માટે સમાધાન કરવું પડે છે.
અગાઉ, બેંગલુરુ કોર્ટે પતિની છૂટાછેડાની અરજીને ફગાવી દીધી હતી કે પત્નીએ સાબિત કર્યું છે કે પતિ અને તેનો પરિવાર મહિલાને તેની ઈચ્છા મુજબ દહેજ ન મળવાથી અસંતુષ્ટ છે. મળતી માહિતી મુજબ, કપલે 2015માં લગ્ન કર્યા હતા. જોકે તેઓ માત્ર 10 દિવસ જ સાથે રહ્યા હતા.
પતિની દલીલ
કોર્ટમાં અરજી દાખલ કરતી વખતે પતિએ જણાવ્યું હતું કે તેની પત્ની લગ્ન બાદ નોકરી માટે સિંગાપોર ગઈ હતી, જ્યારે તે અમેરિકામાં નોકરી કરતો હતો. તેની પત્નીએ કથિત રીતે લગ્ન પછી તેની સાથે યુએસમાં રહેવાનો ઇનકાર કર્યો હતો, જેના પગલે તે વ્યક્તિએ 2016માં ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી.
સ્ત્રીનો પક્ષ શું છે?
મહિલાએ હાઈકોર્ટમાં જણાવ્યું કે તેનો પતિ અને તેની માતા દહેજના પૈસાથી નારાજ છે. મહિલાએ વધુમાં કહ્યું કે પુરુષે ક્યારેય તેના અમેરિકા જવા માટે વિઝાની વ્યવસ્થા કરી નથી. તેણીએ એવો પણ દાવો કર્યો હતો કે તેણીની સાસુ સતત બંને વચ્ચે દખલગીરી કરતી હતી, જેના કારણે શાંતિપૂર્ણ લગ્ન જીવન જીવવું અશક્ય હતું.
લગ્ન એ બાળકોની રમત નથી- HC
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, બંને પક્ષોને સાંભળ્યા બાદ જસ્ટિસ જયંત બેનર્જી અને જસ્ટિસ ઉમેશ અડિગાની બેંચ ફેમિલી કોર્ટના આદેશ સાથે સંમત થઈ હતી. કોર્ટે કહ્યું, “લગ્ન એ બાળકોનો ખેલ નથી. વિવાહિત જીવનમાં પતિ-પત્ની બંનેએ એકબીજા સાથે સમાધાન અને એડજસ્ટ કરવું પડે છે, જેથી તેઓ સામાન્ય દામ્પત્ય જીવન જીવી શકે.” કોર્ટે વધુમાં કહ્યું કે, “એ સ્પષ્ટ છે કે અરજદારને પત્નીને બદલે એક આજ્ઞાંકિત નોકરાણીની જરૂર હતી. એવું લાગે છે કે તે તેના જીવનસાથી પાસેથી તેની ઈચ્છા અને પસંદગી પ્રમાણે બધું કરવા માટે ખૂબ જ અપેક્ષા રાખતો હતો.”

