જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં ચાર રાજ્યસભા બેઠકો માટેની ઐતિહાસિક ચૂંટણીમાં, નેશનલ કોન્ફરન્સ (NC) એ ત્રણ બેઠકો જીતીને તેની તાકાત દર્શાવી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ એક બેઠક જીતી હતી. આ ચૂંટણી ત્રણ અલગ-અલગ સૂચનાઓ હેઠળ હાથ ધરવામાં આવી હતી.
પ્રથમ સીટ પર એનસીના વરિષ્ઠ નેતા ચૌધરી મોહમ્મદ રમઝાન અને ભાજપના અલી મોહમ્મદ મીર વચ્ચે મુકાબલો હતો. આ સીટ પર નેશનલ કોન્ફરન્સને 58 વોટ મળ્યા જ્યારે બીજેપીને માત્ર 28 વોટ જ મળ્યા. આ રીતે રમઝાને મોટી જીત મેળવી અને NCએ સરળતાથી પહેલી સીટ કબજે કરી લીધી.
સજ્જાદ કિચલુએ નરકેશ મહાજનને હરાવ્યા
બીજી બેઠક પર એનસીના સજ્જાદ કિચલુ અને ભાજપના રાકેશ મહાજન વચ્ચે મુકાબલો હતો. આ સીટ પર પણ એનસીને લીડ મળી હતી અને સજ્જાદ કિચલુને 57 વોટ મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવારને 28 વોટ મળ્યા હતા.
ત્રીજા જાહેરનામામાં બે બેઠકો માટે મતદાન થયું હતું. એનસીમાંથી જી.એસ. (શમ્મી) ઓબેરોય અને ઈમરાન નબી ડાર ઉમેદવાર હતા, જ્યારે ભાજપે પ્રદેશ અધ્યક્ષ સત શર્માને મેદાનમાં ઉતાર્યા હતા. આ તબક્કામાં શમ્મી ઓબેરોયે ત્રીજી સીટ જીતીને એનસીને વધુ એક સફળતા અપાવી.
જોકે ચોથી સીટ માટે સ્પર્ધા અઘરી રહી હતી. ભાજપે આ બેઠક માટે પૂરા પ્રયાસો કર્યા હતા અને સંગઠનાત્મક વ્યૂહરચના આધારે સત શર્માને વિજયી બનાવ્યા હતા. તેમને 32 વોટ મળ્યા, જ્યારે નેશનલ કોન્ફરન્સને માત્ર 22 વોટ જ મળ્યા. આ રીતે કુલ પરિણામોમાં નેશનલ કોન્ફરન્સને ત્રણ અને ભાજપને એક બેઠક મળી છે.
રાજકીય વિશ્લેષકોના મતે, આ પરિણામ જમ્મુ અને કાશ્મીરના વર્તમાન રાજકીય ચિત્રને પ્રતિબિંબિત કરે છે જ્યાં NCએ તેની પરંપરાગત તાકાત જાળવી રાખી છે, જ્યારે ભાજપે એક બેઠક જીતીને દક્ષિણ અને જમ્મુ ક્ષેત્રમાં તેની હાજરી નોંધાવી છે.

