ઈજાના કારણે શ્રેયસને આંતરિક રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો જેના કારણે તેને આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો. જો કે તે ટૂંક સમયમાં આઈસીયુમાંથી બહાર આવી ગયો હતો, પરંતુ તેની સારવાર ચાલુ હતી. સિડનીમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એલેક્સ કેરીનો કેચ લેતી વખતે અય્યરને ઈજા થઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે કેરીએ ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન હર્ષિત રાણાની બોલ પર ઉંચો શોટ રમ્યો હતો. બેકવર્ડ પોઈન્ટ પર ઊભેલા ઐયરે ઝડપથી દોડીને સફળતાપૂર્વક કેચ પકડ્યો, પરંતુ જમીન પર પડતાં તેને ડાબી પાંસળી પર જોરદાર ફટકો લાગ્યો. આ પછી તેને મેદાન છોડવું પડ્યું.
શ્રેયસના મેડિકલ અંગે અપડેટ આપતાં, BCCIએ જણાવ્યું કે, ઑસ્ટ્રેલિયા સામે 25 ઑક્ટોબરે રમાયેલી ત્રીજી ODIમાં કેચ લેતી વખતે શ્રેયસ અય્યરને ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેની બરોળમાં ઈજા થઈ હતી અને આંતરિક રક્તસ્રાવ શરૂ થયો હતો. નાના ઓપરેશન પછી રક્તસ્ત્રાવ બંધ થયો. આ માટે તેને યોગ્ય તબીબી સારવાર આપવામાં આવી છે.
બીસીસીઆઈએ વધુમાં કહ્યું કે, હવે શ્રેયસની હાલત સ્થિર છે અને તે સ્વસ્થ થઈ રહ્યો છે. સિડની અને ભારતના નિષ્ણાતોની સાથે BCCIની મેડિકલ ટીમ તેમના સ્વાસ્થ્યમાં સુધારાથી સંતુષ્ટ છે અને તેમને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બીસીસીઆઈ સિડનીમાં ડો. કૌરુશ હગીગી અને તેમની ટીમ તેમજ ભારતમાં ડો. દિનશા પારડીવાલાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે જેમણે શ્રેયસની શ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરી. શ્રેયસ વધુ સારવાર માટે સિડનીમાં રહેશે અને જ્યારે તે ઉડાન ભરી શકે છે ત્યારે તે ભારત પરત ફરશે.
30 વર્ષીય અય્યર હાલમાં માત્ર ODI ફોર્મેટમાં જ રમી રહ્યો છે. પીઠની સમસ્યાને કારણે તે છેલ્લા છ મહિનાથી ટેસ્ટ ક્રિકેટથી દૂર છે અને તાજેતરના સમયમાં તેને T20 ફોર્મેટમાં પણ સામેલ કરવામાં આવ્યો નથી. હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બીજી વનડેમાં અય્યરે 61 રનની શાનદાર ઇનિંગ રમી હતી. શ્રેયસને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હોવા છતાં તે ક્યારે મેદાનમાં પરત ફરી શકશે તે કહેવું મુશ્કેલ છે.

