નવી દિલ્હીઃ તેલંગાણાના જોગુલાંબા ગડવાલ જિલ્લામાં રાજ્ય સંચાલિત બાળ કલ્યાણ છાત્રાલયમાં ફૂડ પોઇઝનિંગનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શુક્રવારે રાત્રે હોસ્ટેલમાં જમ્યા બાદ 52 વિદ્યાર્થીઓની તબિયત અચાનક બગડી હતી, જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોટાભાગના વિદ્યાર્થીઓ હવે સ્થિર છે અને ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે.
આ ઘટના ઇતિક્યાલા મંડળના ધર્માવરમ સ્થિત બોયઝ હોસ્ટેલમાં બની હતી. જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગે તાત્કાલિક એક ટીમ મોકલી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ડોકટરોની દેખરેખ હેઠળ ચાલુ છે.
તબીબોનું કહેવું છે કે પરિસ્થિતિ હવે કાબૂમાં છે અને હાલ કોઈ વિદ્યાર્થીના જીવને કોઈ ખતરો નથી. જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર, 52 વિદ્યાર્થીઓમાંથી 32 વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે, જ્યારે બાકીના વિદ્યાર્થીઓને સાવચેતીના પગલા તરીકે હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હોસ્પિટલના પ્રાંગણમાં જ હંગામી મેડિકલ કેમ્પ પણ ગોઠવવામાં આવ્યો છે.
અસરગ્રસ્ત વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે તેમને સાંબર, ભાત અને કોબીની કઢી પીરસવામાં આવી હતી. ભોજન કર્યાના થોડા જ કલાકોમાં ઘણા વિદ્યાર્થીઓને પેટમાં દુખાવો, ઉલ્ટી અને ઉબકા આવવાની ફરિયાદ થવા લાગી. પ્રારંભિક તપાસમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ખોરાક અથવા દૂષિત પાણીમાં કોઈ પ્રકારનો ચેપ કારણ હોઈ શકે છે. આરોગ્ય વિભાગે ખાદ્યપદાર્થોના સેમ્પલ લઈને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
રાજ્ય માનવ અધિકાર પંચે પણ આ ઘટનાની નોંધ લીધી છે. કમિશનના અધ્યક્ષ અને હાઈકોર્ટના પૂર્વ જજ શમીમ અખ્તરે મીડિયા રિપોર્ટના આધારે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે. પંચે તેલંગાણાના મુખ્ય સચિવને તપાસ હાથ ધરવા અને 24 નવેમ્બર સુધીમાં વિગતવાર અહેવાલ સુપરત કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે અને વાલીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ઘણી સ્થાનિક સંસ્થાઓએ માંગ કરી છે કે છાત્રાલયોમાં સ્વચ્છતા અને ખાદ્યપદાર્થોની ગુણવત્તાના ધોરણોનું કડક નિરીક્ષણ કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય.

