Ahmedabad Plane Crash investigation: અમેરિકામાં શટડાઉનના કારણે સરકારી ફન્ડ રોકાઈ ગયું છે. જેના કારણે અમદાવાદમાં એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ક્રેશમાં 260 લોકોના મોતની તપાસ કરી રહેલી FAAએ પોતાની ઇન્ક્વાયરી રોકી દીધી છે. કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા ઠપ થઈ ગઈ છે. 125થી વધુ પીડિતોના પરિવારોનું પ્રતિનિધિત્વ કરતી અમેરિકન લૉ ફર્મ બિસ્લે એલને જણાવ્યું હતું કે, પહેલી ઓક્ટોબરથી શરૂ થયેલા અમેરિકન સરકારના શટડાઉનને કારણે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) તરફથી ડેટા પ્રાપ્ત કરવામાં વિલંબ થઈ રહ્યો છે.
ફર્મના પ્રિન્સિપલ એટર્ની માઇકલ એન્ડ્રૂઝે એક ન્યૂઝ મીડિયાને જણાવ્યું કે, ‘શટડાઉનને કારણે FAA તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી. અમે 13 ઓગસ્ટે ફ્રીડમ ઑફ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ કૉકપિટ વોઇસ રેકોર્ડર (CVR), ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR), એન્જિન ટીયરડાઉન રિપોર્ટ તેમજ ફોટો-વીડિયો મંગાવ્યા હતા, પરંતુ બધું અટકેલું છે.’
કોની ભૂલ?
આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 મુસાફરો અને જમીન પર રહેલા 19 લોકોના મોત નિપજ્યા હતા. ફક્ત બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ જ બચી ગયો હતો. વિમાન ટેકઑફ થયાના 90 સેકન્ડ પછી મેઘાણી નગરમાં બી. જે મેડિકલ કોલેજ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. AAIBના વચગાળાના અહેવાલમાં (12 જુલાઈ) ‘ટેકઑફ પછી તરત જ ફ્યૂલ કટઑફ’નો ઉલ્લેખ છે. જોકે, પાઇલટ્સને દોષ આપવાનું કહેવામાં આવતા, એન્ડ્રુઝે કહ્યું કે, ‘બોઇંગ 787 ઓટોમેટેડ છે, કોમ્પ્યુટર કમાન્ડ સિસ્ટમ નિષ્ફળતાનું કારણ બની શકે છે. CVR સંપૂર્ણપણે પ્રકાશિત કરવામાં આવ્યું ન હતું, જેના કારણે પાઇલટ્સ સામે અન્યાયી આરોપો લાગ્યા.’
પરિવારોની ધીરજ
દુબઈમાં રહેતા સૈયદ ઇમ્તિયાઝ અલીએ પોતાના ભાઈ, ભાભી અને બે બાળકો ગુમાવ્યા. આ દુર્ઘટના અંગે તેમણે કહ્યું કે, ‘દુઃખ ઓછું નહીં થાય, પણ અમે રાહ જોઈશું. એક વર્ષથી વધુ સમય લાગશે, પણ અમે તૈયાર છીએ.’ બીજા પરિવારે કહ્યું, ‘અમને કહેવામાં આવ્યું હતું કે આવા કેસોમાં 2-3 વર્ષ લાગે છે. અમે જવાબદેહી ઇચ્છીએ છીએ.’
એર ઇન્ડિયા પર અસર
એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સને 29 ઓક્ટોબરે એવિએશન ઇન્ડિયા સમિટમાં આ દુર્ઘટનાને વિનાશક ગણાવી હતી. કર્મચારીઓને સંદેશ આપતા તેમણે કહ્યું કે, ‘AAIB રિપોર્ટ પ્રારંભિક સ્પષ્ટતા પ્રદાન કરે છે, પરંતુ તપાસ લાંબી છે.’ એરલાઇને રૂ. 500 કરોડના વળતર પેકેજની જાહેરાત કરી હતી, પરંતુ કેસના ભયથી શેર 8% ગગડી ગયા હતા.
ભારતમાં તપાસ
AAIB નો ફાઇનલ રિપોર્ટ 2026માં આવશે. DGCA એ બોઇંગ 787 કાફલાની વધારાની તપાસ શરૂ કરી છે. ગુજરાત સરકારે પ્રતિ પરિવાર રૂ. 5 કરોડનું વળતર આપવાની ઓફર કરી છે. અસરગ્રસ્ત પરિવારો હવે બેવડી લડાઈ લડી રહ્યા છે. અમેરિકન કોર્ટમાં બોઇંગ સામે અને ભારતીય તપાસમાં સત્ય સામે. જોકે, શટડાઉન સમાપ્ત થયા પછી જ કેસ આગળ વધશે.

