નવી દિલ્હીઃ તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ એક ચૂંટણી કાર્યક્રમમાં આવું નિવેદન આપ્યું છે, જે હવે ચારેબાજુ ચર્ચાનો વિષય બની ગયું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની હાજરી મુસ્લિમ સમુદાયના સન્માનની ગેરંટી છે. આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
રેડ્ડીના આ નિવેદન બાદ વિરોધ પક્ષો તેને વોટ બેંકની રાજનીતિ ગણાવી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના નેતાઓ તેનો બચાવ કરી રહ્યા છે. આ સિવાય કેટલાક લોકો તેલંગાણાના મુખ્યમંત્રી પાસે માફી માંગવાની પણ માંગ કરી રહ્યા છે.
જ્યુબિલી હિલ્સ વિધાનસભા સીટ પર 11 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન રેવંત રેડ્ડી એક સભામાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે લોકોને કહ્યું હતું કે, “કોંગ્રેસ છે તો તમે મુસ્લિમ છો, જો કોંગ્રેસ છે તો તમારું સન્માન છે. જો કોંગ્રેસ નહીં હોય તો તમારું કંઈ જ નહીં રહે.”
આ નિવેદનને કોંગ્રેસ પાર્ટીની અંદરથી જોરદાર સમર્થન મળ્યું છે. તેલંગાણા સરકારમાં નવા મંત્રી બનેલા પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીને કહ્યું કે આ નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. તેમના કહેવા પ્રમાણે, “કોંગ્રેસ અને મુસ્લિમ સમુદાય એકબીજા સાથે જોડાયેલા છે. આ સંબંધ આઝાદીના સમયથી ચાલી આવે છે. તેમાં કંઈ ખોટું નથી.”
આ નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP)એ રેવંત રેડ્ડી અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. તેલંગાણા ભાજપના અધ્યક્ષ એન રામચંદ્ર રાવે તેને સમુદાયોમાં ભાગલા પાડવાની રાજનીતિ ગણાવી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે કોંગ્રેસ દાયકાઓથી લોકોને વહેંચીને સત્તા મેળવી રહી છે.
રાજ્ય લઘુમતી આયોગના પૂર્વ અધ્યક્ષ આબિદ રસૂલ ખાને આ નિવેદનની આકરી ટીકા કરી છે. તેમણે માંગ કરી હતી કે રેડ્ડી તેમના શબ્દો પાછા લે અને જાહેરમાં માફી માંગે. ખાનના મતે, આઝાદી પહેલા પણ કોંગ્રેસની રચનામાં મુસ્લિમોએ મોટી ભૂમિકા ભજવી હતી.
જો કે, કોઈપણ પક્ષ કોઈપણ સમુદાયનો માલિક બની શકે નહીં. બંધારણ દરેકને ધર્મની સ્વતંત્રતા આપે છે. તેમણે કહ્યું કે આવા નિવેદનોથી સમુદાયો વચ્ચે અંતર વધે છે.

