આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ક્ષેત્રમાં ક્રાંતિકારી ગણાતા અને ‘એઆઈના ગોડફાધર’ તરીકે ઓળખાતા જ્યોફ્રી હિન્ટને દુનિયાને ગંભીર ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે AIના વિકાસથી માનવતાને જેટલો ફાયદો થશે તેટલો નુકસાન પણ થઈ શકે છે.
હિન્ટન દાવો કરે છે કે AI મોટા પાયા પર નોકરીઓ ખતમ કરશે અને માત્ર થોડા સમૃદ્ધ ઉદ્યોગપતિઓને જ તેનો ફાયદો થશે, જેમાં એલોન મસ્ક જેવા અબજોપતિઓ મોખરે હશે.
બ્લૂમબર્ગની વોલ સ્ટ્રીટ વીક ઈવેન્ટમાં બોલતા હિન્ટને કહ્યું કે AI ભવિષ્યમાં અમીર અને ગરીબ વચ્ચેનું અંતર વધારશે. તેમનું માનવું છે કે મોટી કંપનીઓ હવે એઆઈનો ઉપયોગ એવી રીતે કરશે કે મશીન માનવ શ્રમનું સ્થાન લેશે. તેનાથી નફો વધશે, પરંતુ સામાન્ય માણસની આજીવિકા જોખમમાં આવશે.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, Microsoft, Amazon, Alphabet અને Meta જેવી મોટી ટેક કંપનીઓ આવતા વર્ષે AI ડેવલપમેન્ટમાં લગભગ $420 બિલિયનનું રોકાણ કરવા જઈ રહી છે. હિંટને ચેતવણી આપી હતી કે આ રોકાણ સીધું જ નોકરીમાં કાપ તરફ દોરી જશે, કારણ કે કંપનીઓનું લક્ષ્ય માનવોને બદલે AI દ્વારા કામ કરાવવાનું છે.
જ્યારે હિન્ટનને પૂછવામાં આવ્યું કે શું નોકરીઓનું બલિદાન આપ્યા વિના AIના વિસ્તરણમાં આગળ વધવું શક્ય છે, તો તેણે સ્પષ્ટ કહ્યું – ‘મને નથી લાગતું કે તે શક્ય છે. પૈસા કમાવવા માટે, કંપનીઓએ માનવ શ્રમને બદલવો પડશે. હિંટનના મતે, આ એવો વળાંક છે જ્યાં ટેક્નોલોજી માનવીઓ વિરુદ્ધ કામ કરતી જોવા મળશે.
જો કે, હિન્ટન માને છે કે AIને સંપૂર્ણપણે બંધ કરવું એ યોગ્ય ઉકેલ નથી. તેમણે કહ્યું કે AI ઘણા ઉદ્યોગોની ઉત્પાદકતામાં વધારો કરી શકે છે, જે વિકાસની ગતિને વેગ આપશે. પરંતુ આ ત્યારે જ શક્ય બને છે જ્યારે સમાજ આ પરિવર્તન માટે પોતાને તૈયાર કરે અને માણસો માટે રોજગાર અને આવકના નવા રસ્તાઓ બનાવે.

