દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટમાં ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલા લોકોના નામ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે યુનિવર્સિટી સામે પણ કાર્યવાહી શરૂ થઈ છે. ગુરુવારે, એસોસિએશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટીએ અલ-ફલાહ યુનિવર્સિટીનું સભ્યપદ રદ કર્યું. સંઘે એક સત્તાવાર પત્ર દ્વારા આ નિર્ણયની જાણકારી આપી હતી. આ પત્ર દ્વારા એસોસિએશને અલ-ફલાહને તેનો લોગો હટાવવા અને એસોસિએશનના નામનો કોઈપણ સ્વરૂપમાં ઉપયોગ ન કરવા સૂચના આપી છે.
સંસ્થા દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે યુનિવર્સિટીનું સભ્યપદ રદ કરવામાં આવે છે. સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “આ જાણ કરવા માટે છે કે એસોસિયેશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીઝ (AIU) ના પેટા-નિયમો અનુસાર, તમામ યુનિવર્સિટીઓ જ્યાં સુધી સારી સ્થિતિમાં રહેશે ત્યાં સુધી તેમને સભ્ય ગણવામાં આવશે.” જો કે, મીડિયા રિપોર્ટ્સ મુજબ, એવું ધ્યાન પર આવ્યું છે કે અલ-ફલાહ યુનિવર્સિટી, ફરીદાબાદ, હરિયાણાની સ્થિતિ સારી નથી. તદનુસાર, અલ-ફલાહ યુનિવર્સિટી, ફરીદાબાદ, હરિયાણાને આપવામાં આવેલી AIUની સદસ્યતા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવી છે.”
સંસ્થાએ એ પણ પુષ્ટિ કરી છે કે યુનિવર્સિટી એઆઈયુના નામ અથવા લોગોનો ઉપયોગ કરી શકશે નહીં. તેમાં ઉમેર્યું હતું કે, “વધુમાં, આ જાણ કરવા માટે છે કે અલ-ફલાહ યુનિવર્સિટી તેની કોઈપણ પ્રવૃત્તિઓમાં AIUના નામ અથવા લોગોનો ઉપયોગ કરવા માટે અધિકૃત નથી, અને AIUનો લોગો તરત જ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પરથી હટાવી દેવો જોઈએ.”
યુનિવર્સિટી એસોસિએશન ઉપરાંત અલ-ફલાહ યુનિવર્સિટીની પણ સરકાર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટમાં સંડોવાયેલા શંકાસ્પદ લોકો સાથે યુનિવર્સિટીનું કનેક્શન સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે યુનિવર્સિટીના રેકોર્ડની તપાસ કરવાનો આદેશ જારી કર્યો છે. આ સિવાય EDએ યુનિવર્સિટીમાં આવતા ફંડની તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે અલ-ફલાહ યુનિવર્સિટી ફરીદાબાદના ધૌજમાં સ્થિત એક ખાનગી સંસ્થા છે. એન્જિનિયરિંગ ઉપરાંત મેડિકલની કેટલીક બેઠકો પણ ઉપલબ્ધ છે અને યુનિવર્સિટીની પોતાની હોસ્પિટલ પણ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દિલ્હીના લાલ કિલ્લા પાસે બોમ્બ વિસ્ફોટ કરનાર કાર ચલાવનાર ડો.ઉમર નબી તે જ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતા હતા.
