જમ્મુ અને કાશ્મીરની તાજેતરની પેટાચૂંટણીના પરિણામોએ નેશનલ કોન્ફરન્સની રાજકીય તાકાત પર મોટો પ્રશ્ન ઉઠાવ્યો છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ખાલી કરેલી બડગામ સીટ પર પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે નગરોટામાં પણ એનસી ત્રીજા સ્થાને આવી ગઈ હતી.
સ્થાનિક રાજકીય વર્તુળોમાં આને પાર્ટીની ઘટતી પકડ અને આંતરિક મતભેદનો સંકેત માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ, આ પરિણામો પીડીપી અને ભાજપ માટે મનોબળ વધારવા સાબિત થયા.
બડગામ સીટ પર એનસી પોતાની પકડ જાળવી શકી નથી. પીડીપીના ઉમેદવાર આગા સૈયદ મુન્તાજી મેહદીએ 21,576 મતો મેળવીને જીત મેળવી હતી, જ્યારે એનસીના ઉમેદવાર આગા સૈયદ મહમૂદ અલ-મોસાવીને 17,098 મતો મળ્યા હતા.
2024માં બીજી સીટ જીત્યા બાદ ઓમર અબ્દુલ્લાએ આ સીટ ખાલી કરી હતી. હાર બાદ રાજકીય વિશ્લેષકો એનસીની સ્થિતિને સતત નબળી પડી રહેલી સંગઠન ક્ષમતા સાથે જોડી રહ્યા છે.
ઓમર અબ્દુલ્લાની પ્રતિષ્ઠા સાથે જોડાયેલી આ સીટ પર હારને એનસી માટે મોટી ‘ફેસ લોસ’ માનવામાં આવી રહી છે. આ એ જ સીટ છે જે 2024ની વિધાનસભા ચૂંટણીમાં ઓમરે જીતી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, NC સાંસદ આગા રાહુલાએ ચૂંટણી પ્રચારથી પોતાને દૂર રાખ્યા હતા, જેના કારણે પાર્ટીના મતો પર અસર પડી હતી. એવું માનવામાં આવે છે કે ઓમર અબ્દુલ્લા સાથે મતભેદોને કારણે તેઓ સક્રિય નહોતા. આ કારણે એનસીનું ગ્રાઉન્ડ નેટવર્ક નબળું પડ્યું અને પીડીપીને મોકો મળ્યો. સ્થાનિક રાજકીય વર્તુળોમાં, આને એનસીના આંતરિક પડકારોનો સ્પષ્ટ સંકેત માનવામાં આવી રહ્યો છે.
નગરોટા સીટ પર પણ એનસીને મોટો ફટકો પડ્યો, જ્યાં પાર્ટી ત્રીજા સ્થાને રહી. NC ઉમેદવાર શમીમ બેગમને 10,872 મત મળ્યા, જ્યારે ભાજપના દેવયાની રાણાએ 42,350 મતો સાથે જંગી જીત નોંધાવી.

