પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં મંગળવારે એક શંકાસ્પદ આત્મઘાતી બોમ્બર માર્યો ગયો જ્યારે તેના શરીર પર બાંધેલા વિસ્ફોટકો નિર્ધારિત સમય પહેલા વિસ્ફોટ થયો. પોલીસના જણાવ્યા અનુસાર આનાથી મોટો આતંકી હુમલો ટળી ગયો. આ વિસ્ફોટ બન્નુ જિલ્લાના સુરાની વિસ્તારમાં દોઆ ઘોડા પુલ પાસે થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે બાઇક સવાર હુમલાખોર તેના ગંતવ્ય સ્થાને પહોંચતા પહેલા જ વિસ્ફોટનો શિકાર બની ગયો હતો, જેના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું નથી.
માર્યા ગયેલા હુમલાખોરની ઓળખ ઝિયાદ ઉર્ફે હમઝા તરીકે થઈ છે. તપાસકર્તાઓ તેને બન્નુમાં પોલીસકર્મીઓ અને કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD)ના કર્મચારીઓની અનેક હત્યાઓનો માસ્ટરમાઇન્ડ ગણાવી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) બનાવવામાં નિષ્ણાત હતો. તેનો એક સાથી ઘાયલ હોવા છતાં સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ફરાર આરોપીને શોધવા માટે ચલાવવામાં આવી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન સ્થળ પરથી એક પિસ્તોલ, દારૂગોળો અને બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી છે.
તમને જણાવી દઈએ કે ખૈબર પખ્તુનખ્વામાં આ નિષ્ફળ હુમલો ઈસ્લામાબાદમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટના એક અઠવાડિયાથી ઓછા સમયમાં થયો હતો, જેમાં 12 લોકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ રક્ષા મંત્રી ખ્વાજા મુહમ્મદ આસિફે કહ્યું કે પાકિસ્તાન ‘યુદ્ધ જેવી પરિસ્થિતિ’માં ધકેલાઈ ગયું છે અને આ હુમલો કાબુલ તરફથી સંદેશ લઈને આવ્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે જો અફઘાન સત્તાવાળાઓ અફઘાનિસ્તાનની ધરતી પરથી ઓપરેશન કરી રહેલા આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ જાય તો પાકિસ્તાનને ‘સંપૂર્ણ શક્તિ સાથે જવાબ’ આપવાનો અધિકાર છે. બીજી તરફ કાબુલે કોઈપણ સંડોવણીનો ઈન્કાર કર્યો છે.

