ભારતના ડાબા હાથના કાંડાના સ્પિનર કુલદીપ યાદવે સ્વીકાર્યું કે ભારતમાં દરેક ફોર્મેટમાં રમવાની તક મેળવવી સરળ નથી પરંતુ કઠિન સ્પર્ધા વચ્ચે તે પોતાની આક્રમક માનસિકતાથી પોતાનું સ્થાન જાળવી રહ્યો છે. કુલદીપ ઓસ્ટ્રેલિયામાં પાંચ મેચની T20 સીરીઝમાંથી સાઉથ આફ્રિકા સામે હોમ ટેસ્ટ સીરીઝ રમવા માટે વતન પરત ફર્યો હતો. તેણે પ્રથમ ટેસ્ટમાં ચાર વિકેટ લીધી હતી જોકે ભારત 30 રનથી હારી ગયું હતું.
તમામ ફોર્મેટમાં 342 વિકેટ ઝડપનાર કુલદીપે જિયો સ્ટારના ‘ફોલો ધ બ્લૂઝ’ કાર્યક્રમમાં કહ્યું, “અલબત્ત તમે ત્રણેય ફોર્મેટ રમવાનું પસંદ કરશો પરંતુ ટેસ્ટ રમવી એ મજાની વાત છે. ભારતમાં તમામ ફોર્મેટમાં રમવું સહેલું નથી.” તેણે કહ્યું, ”દરેકને ટેસ્ટ ક્રિકેટ ગમે છે. દરેકને તેનો આનંદ આવે છે, પરંતુ આગામી ચાર વર્ષ ટેસ્ટ ક્રિકેટમાં મારા માટે ખૂબ જ પડકારજનક છે. મારી ફિટનેસ જાળવી રાખવા અને આ રીતે રમવા પર ધ્યાન આપીશ.
તેણે કહ્યું કે તે તેની ભૂમિકા અંગે સ્પષ્ટ છે અને ટીમ મેનેજમેન્ટના સમર્થનથી તે આક્રમક માનસિકતા સાથે રમવા સક્ષમ છે. કુલદીપે કહ્યું, “એક આક્રમક બેટ્સમેન તરીકે હું ખૂબ જ સ્પષ્ટ છું. હું મારી ભૂમિકા જાણું છું. કોચ અને કેપ્ટને ઘણી સ્પષ્ટતા અને સમર્થન આપ્યું છે. હું હંમેશા આક્રમક માનસિકતા સાથે રમું છું અને મારું કામ વિકેટ લેવાનું છે. કોચ પણ મારી પાસેથી એવું જ ઈચ્છે છે.
ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે કહ્યું કે દક્ષિણ આફ્રિકા જેવી કઠિન ટીમ સામે રમવાથી ખેલાડીઓને શીખવામાં અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ મળશે. તેણે કહ્યું, “જ્યારે તમે સારી ટીમ સામે રમો છો, ત્યારે તમે સારા બેટ્સમેનોને બોલિંગ કરો છો અને તેમની વિકેટો લો છો. આનાથી આત્મવિશ્વાસ વધે છે. તમને મજબૂત ટીમો સામે તમારી ભૂલોનો તરત ખ્યાલ આવે છે. તેથી જ મને દક્ષિણ આફ્રિકા સામે રમવાની મજા આવે છે.

