બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ વધુ એક મોટો નિર્ણય આવ્યો છે. માનવતા વિરુદ્ધના ગુના માટે મૃત્યુદંડ પ્રાપ્ત કર્યા પછી, તેને હવે ભ્રષ્ટાચારના ત્રણ અલગ-અલગ કેસોમાં 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ રીતે, એકંદરે શેખ હસીનાને 21 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ઢાકા સ્પેશિયલ કોર્ટ-5ના જજ મોહમ્મદ અબ્દુલ્લા અલ મામુને પૂર્વાચલ વિસ્તારમાં ત્રણ સરકારી પ્લોટની છેતરપિંડીથી સંબંધિત કેસમાં શેખ હસીનાને 7-7 વર્ષની જેલની સજા ફટકારી હતી.
બાંગ્લાદેશના ભ્રષ્ટાચાર વિરોધી આયોગ (ACC) એ જાન્યુઆરી 2025માં શેખ હસીના અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ઢાકાના પૂર્વાચલમાં સરકારી પ્લોટની ગેરકાયદેસર ફાળવણીના કુલ છ કેસ નોંધ્યા હતા. આ પૈકીના ત્રણ કેસમાં આજે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો જ્યારે બાકીના ત્રણ કેસમાં ચુકાદો 1 ડિસેમ્બરે આવશે.કોર્ટે શેખ હસીનાના પુત્ર સજીબ વાઝેદ જોયને 5 વર્ષની જેલ અને 1 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે. તેમની પુત્રી સાયમા વાઝેદ પુટરુલને પણ 5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
અગાઉ, બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલે (ICT) શેખ હસીનાને જુલાઈ 2024 ના વિદ્યાર્થી ચળવળને દબાવવા બદલ માનવતા વિરુદ્ધના અપરાધો માટે દોષિત જાહેર કર્યા પછી મૃત્યુદંડની સજા ફટકારી છે. હકીકતમાં, શેખ હસીના અને તેનો પરિવાર ફરાર છે, તેથી આ તમામ કેસમાં તેમના કોઈ વકીલ કોર્ટમાં હાજર ન હતા. જોકે, શેખ હસીનાએ પોતાના વિવિધ નિવેદનોમાં ભ્રષ્ટાચારના તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
દરમિયાન, બુધવારે, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારતને બાંગ્લાદેશની વચગાળાની સરકાર દ્વારા શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરતી ઔપચારિક વિનંતી મળી છે અને તેની તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે ભારત તેની ચાલી રહેલી ન્યાયિક અને કાયદાકીય પ્રક્રિયાઓના ભાગરૂપે બાંગ્લાદેશમાં શાંતિ, લોકશાહી, સર્વસમાવેશકતા અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે અને તમામ હિતધારકો સાથે રચનાત્મક સહયોગ ચાલુ રાખશે.
નોંધનીય છે કે જુલાઈ 2024માં વિદ્યાર્થીઓના નેતૃત્વમાં મોટા પ્રદર્શન બાદ શેખ હસીનાએ સત્તા છોડીને 5 ઓગસ્ટ 2024ના રોજ ભારત ભાગી જવું પડ્યું હતું. આ પછી બાંગ્લાદેશમાં મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી.

