Gujarat Farmers Crop Damage: ૧ એપ્રિલ ૨૦૨૫થી ૩ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન ગુજરાતમાં પડેલા ભારે કમોસમી વરસાદથી ખેતીને મોટું નુકસાન થયું હોવા છતાં સંસદમાં તેની વિગતો શૂન્ય દર્શાવવામાં આવી છે. આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર ડૉ. મનિષ દોશીએ ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમના કહેવા મુજબ, જો કેન્દ્ર સરકારને વાસ્તવિક આંકડા મોકલવામાં આવ્યા હોત તો વધારાની કેન્દ્રીય સહાય મળવાની શક્યતા હતી. નુકસાન શૂન્ય દર્શાવાતા ખેડૂતો માટે મળનારી રાહતની તક ગુમાઈ છે. આ સ્થિતિ રાજ્ય સરકારની નિષ્ક્રિયતાને ઉજાગર કરે છે તેવી ટીકા કરવામાં આવી છે.
કમોસમી વરસાદે તૈયાર પાકોને કર્યો વ્યાપક નાશ
ડૉ. મનિષ દોશીના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે મગફળી, કપાસ, જીરું, ડાંગર જેવા તૈયાર પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. દિવાળી બાદ નવા વર્ષની શરૂઆત સાથે ખેડૂતો કાપણીની તૈયારીમાં હોય છે, ત્યારે સતત વરસાદે સમગ્ર મહેનત પર પાણી ફેરવી દીધું. પાક તૈયાર થવા સુધી ખેડૂતોએ મોટો ખર્ચ કર્યો હોય છે, જે કુદરતી આફતના કારણે બેરંગ ગયો. પરિણામે અનેક પરિવારો આર્થિક સંકટમાં ફસાયા છે.
ખેતી ખર્ચમાં વધારો અને આવકમાં ઘટાડાનો આક્ષેપ
વર્ષ ૨૦૨૨માં ખેતીની આવક બમણી કરવાની વાતો કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવમાં ખેતીનો ખર્ચ વધતો ગયો હોવાનું ડૉ. દોશીનું કહેવું છે. તેમણે આક્ષેપ કર્યો કે ખર્ચ બમણો થયો છે જ્યારે ખેડૂતોની આવક ઘટી છે. ગુજરાતના લાખો ખેડૂતો પર ભારે દેવાનો ભાર છે, જેના કારણે ખેતી વ્યવસાય અસ્થિર બની રહ્યો છે. વધતા ખર્ચ અને ઘટતી આવક વચ્ચે ખેડૂત વધુ મુશ્કેલીમાં ફસાઈ રહ્યો છે.
પાક વીમા યોજના બંધ થવાથી ખેડૂતો વંચિત
ડૉ. દોશીએ જણાવ્યું કે વર્ષ ૨૦૨૦ બાદ ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અમલમાં નથી. પરિણામે કમોસમી વરસાદ જેવી આપત્તિ સમયે ખેડૂતોને કોઈ વળતર મળ્યું નથી. દેશના અનેક રાજ્યોમાં આ યોજનાનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે, પરંતુ ગુજરાતમાં બંને સ્તરે એક જ સરકાર હોવા છતાં ખેડૂતો વંચિત રહ્યા છે. જો યોજના ચાલુ હોત તો ખેડૂતોને નુકસાનની ભરપાઈ મળી શકત અને ગંભીર પરિસ્થિતિ ટાળી શકાત.
જાહેર કરાયેલા રાહત પેકેજને ગણાવ્યો અપૂરતો
રાજ્ય સરકારે જાહેર કરેલા આશરે દસ હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજને ડૉ. દોશીએ અપૂરતું ગણાવ્યું છે. મર્યાદિત વિસ્તારો અને શરતોને કારણે તમામ અસરગ્રસ્ત ખેડૂતો સુધી સહાય પહોંચતી નથી. હેક્ટરદીઠ નક્કી કરેલી સહાય વાસ્તવિક નુકસાનની સરખામણીએ ઓછી હોવાનું તેમણે જણાવ્યું. આ પ્રકારની સહાયથી ખેડૂતોને પૂરતો ન્યાય મળતો નથી તેવી લાગણી વ્યાપી છે.
કેન્દ્રીય હસ્તક્ષેપ અને પૂર્ણ વળતરની માંગ
કોંગ્રેસ તરફથી માંગ કરવામાં આવી છે કે રાજ્ય સાથે ચર્ચા કરીને પાક વીમા યોજના તાત્કાલિક પુનઃશરૂ કરવામાં આવે. કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને કેન્દ્રીય સ્તરે વધારે વળતર આપવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે. ખેડૂતોના જીવન સાથે જોડાયેલો આ મુદ્દો હોવાથી તાત્કાલિક નિર્ણય જરૂરી હોવાનું જણાવાયું છે. યોગ્ય સહાય અને સુરક્ષા મળી રહે તો આવનારી ઋતુઓમાં ખેડૂતોને રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

