મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરથી ટાઈપ-1ડાયાબિટીસ કાર્યક્રમનો રાજ્ય વ્યાપી પ્રારંભ
દુરદરાજના વિસ્તારોના પ્રાયમરી હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પણ ટાઈપ-1 ડાયાબિટીસની સારવારનો લાભ આપીને આ રોગ ધરાવતા તમામ બાળકોને સારવારથી આવરી લેવાનોમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આરોગ્ય સેવાલક્ષી અભિગમ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીશાદર્શનમાં બાળ આરોગ્ય સંભાળ માટે રાજ્ય સરકારે પ્રીકોશન- પ્રિવેન્શન અને પોઝિટીવ લાઈફ સ્ટાઈલ પર ફોકસ કર્યું છે: મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ટાઈપ-1ડાયાબિટીસ (જુવેનાઇલ ડાયાબિટીસ) ધરાવતું એક પણ બાળક સારવાર-સુવિધાથી વંચિત ન રહે તેવી સઘન સારવાર વ્યવસ્થાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ ટાઈપ-1ડાયાબિટીસ- જુવેનાઈલ ડાયાબિટીસ સારવાર-નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરથી કરાવતા આ નેમ દર્શાવી હતી.
રાજ્યના દુરદરાજ વિસ્તારોના પ્રાયમરી હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પણ ટાઈપ-1ડાયાબિટીસની સારવારનો લાભ મળી રહે અને આ રોગ ધરાવતા તમામ બાળકોને સારવારથી આવરી લેવાય તેવા આરોગ્ય સેવાલક્ષી અભિગમથી આ રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરી રહ્યા છીએ તેમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ.
તેમણે કહ્યું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો નિર્ધાર કર્યો છે આ માટે તેમણે નાનામાં નાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળે તે માટે આયુષ્યમાન ભારત જેવી વિશ્વની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા-સંભાળ યોજના શરૂ કરી છે.
એટલું જ નહીં,લોકો નિરોગી રહે તે માટે યોગના પ્રચાર-પ્રસારને પણ મહત્વ આપ્યું છે. આમ છતાં જો કોઈને ગંભીર બીમારી આવે તો આયુષ્યમાન કાર્ડથી સરકાર તેની સારવાર માટે પડખે ઉભી છે. યોગથી આયુષ્માનની તેમની આ આગવી સંકલ્પના છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે,રાજ્ય સરકારે પણ ટાઈપ-1ડાયાબિટીસ ધરાવતા બાળકોના સચોટ નિદાન અને સમયસર સારવાર દ્વારા આ રોગને નિયંત્રિત કરવાનો સંકલ્પ કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યવ્યાપી અભિયાનના આ આરંભ અવસરે ટાઈપ-1ડાયાબિટીસ ધરાવતા બાળકોને સારવાર કિટનું વિતરણ કરતાં કહ્યું કે,આવા બાળકોની સારવારનો બોજ પરિવાર પર ન આવી પડે તે માટે રાજ્ય સરકાર નિ:શુલ્ક ઈન્જેક્શનો તથા ગ્લુકોમિટર અને અન્ય જરૂરી સારવાર સામગ્રી પૂરી પાડે છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં રાજ્ય સરકારે બાળ આરોગ્ય સંભાળ માટે પ્રિકોશન,પ્રિવેન્શન અને પોઝિટીવ લાઈફ સ્ટાઈલ ત્રણેય પર ફોકસ કર્યુ છે. રાજ્યની શાળાઓમાં શાળા આરોગ્ય અભિયાન શરૂ કરીને દર વર્ષે સરેરાશ1કરોડથી વધુ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે.

