મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાન્તે શનિવારે હરિયાણામાં તેમના વતન ગામની મુલાકાત લીધી હતી અને હિસાર અને હાંસીમાં બે કોર્ટ સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. જસ્ટિસ સૂર્યકાંતની સાથે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ પણ હાજર હતા.
તેઓ બપોરે હાંસી જિલ્લાના તેમના વતન ગામ પેટવાડ પહોંચ્યા હતા. આ દરમિયાન ગામના લોકોએ ઢોલના તાલે ડાન્સ કરીને તેમનું સ્વાગત કર્યું હતું. જસ્ટિસ સૂર્યકાંતે નવેમ્બરમાં દેશના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ પેટવાડ ગામમાં જ મેળવ્યું હતું.
દિવસની શરૂઆતમાં, મુખ્ય ન્યાયાધીશે હિસાર જિલ્લાના બરવાલા ખાતે નવા નિર્મિત કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું અને નવા કોર્ટ સંકુલનો શિલાન્યાસ પણ કર્યો. આ કાર્યક્રમમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શીલ નાગુ, હાઈકોર્ટના અન્ય કેટલાક ન્યાયાધીશો, હરિયાણા સરકારના મંત્રીઓ રણબીર સિંહ ગંગવા અને અરવિંદ શર્મા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ન્યાયમૂર્તિ સૂર્યકાન્તે એક સભાને સંબોધતા જણાવ્યું હતું કે નવી અદાલતોની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિક માટે ન્યાયને સરળ, સુલભ અને સસ્તું બનાવવાનો છે. હરિયાણા સરકારને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે સોમવારથી બરવાલા (હિસાર) અને નારનોંદ (હાંસી)માં ન્યાયિક કાર્ય શરૂ થશે, જ્યાં તેમણે કોર્ટ સંકુલનું પણ ઉદ્ઘાટન કર્યું.

