વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મલેશિયાના સમકક્ષ અનવર ઇબ્રાહિમ વચ્ચે વ્યાપક વાટાઘાટો બાદ ભારત અને મલેશિયાએ રવિવારે સંરક્ષણ અને સુરક્ષા, સેમિકન્ડક્ટર્સ અને વેપારના ક્ષેત્રોમાં સહકારને વધુ મજબૂત કરવા માટે ઘણી પહેલ શરૂ કરી હતી. બેઠક બાદ મોદીએ કહ્યું કે ભારત અને મલેશિયા વચ્ચે ‘વિશેષ સંબંધ’ છે અને બંને પક્ષો વિવિધ ક્ષેત્રોમાં તેમના સંબંધોને વિસ્તારવા માટે પ્રતિબદ્ધ છે. આતંકવાદ વિરોધી મુદ્દા પર ભારતના વલણને પુનરાવર્તિત કરતા, વડા પ્રધાને કહ્યું, “આતંકવાદ પર અમારો સંદેશ સ્પષ્ટ છે; કોઈ બેવડા ધોરણો, કોઈ સમાધાન નહીં.
PM મોદી શનિવારે કુઆલાલંપુર પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દ્વિપક્ષીય સંબંધોમાં નવી ગતિનો સંકેત આપતા ઈબ્રાહિમે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. વાટાઘાટો પહેલા, આજે સવારે પરદાના પુત્રા ખાતે મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીએ કહ્યું, “ભારત અને મલેશિયા વચ્ચે ખાસ સંબંધ છે. અમે દરિયાઈ પડોશી છીએ. બંને દેશોના લોકો વચ્ચે સદીઓથી ગાઢ અને સ્નેહભર્યા સંબંધો છે.
તેમણે કહ્યું, ‘આજે, ભારતીય મૂળના લોકોની વસ્તીના સંદર્ભમાં મલેશિયા વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે. આપણી સંસ્કૃતિ, સહિયારી સાંસ્કૃતિક વારસો અને લોકતાંત્રિક મૂલ્યો આપણને એક સાથે બાંધે છે. મોદીએ કહ્યું કે બંને પક્ષો આતંકવાદ વિરોધી પગલાં, ગુપ્ત માહિતીની વહેંચણી અને દરિયાઈ સુરક્ષામાં સહયોગને મજબૂત બનાવશે.
તેમણે એમ પણ કહ્યું કે અમે સંરક્ષણ સહયોગને વધુ વ્યાપક બનાવીશું. “કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) અને ડિજિટલ ટેક્નોલોજીની સાથે, અમે સેમિકન્ડક્ટર્સ, સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રોમાં ભાગીદારી આગળ ધપાવીશું,” તેમણે કહ્યું. પ્રધાનમંત્રીએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પ્રત્યે ભારતના વિઝનને પણ હાઈલાઈટ કર્યું હતું. તેમણે કહ્યું, “ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર વિશ્વના વિકાસના એન્જિન તરીકે ઉભરી રહ્યું છે.” પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત, આસિયાન (એસોસિએશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ) સાથે મળીને સમગ્ર ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વિકાસ, શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે.
મલેશિયાના વડા પ્રધાન ઇબ્રાહિમે કહ્યું કે ભારત અને મલેશિયા વેપાર, રોકાણ, કનેક્ટિવિટી અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગનું વિસ્તરણ કરવાનું ચાલુ રાખે છે. તેમણે કહ્યું કે ભારતે વૈશ્વિક વેપાર અને આર્થિક મોરચે ઉત્તમ વૃદ્ધિ નોંધાવી છે.

