Øનર્મદા,ડાંગ અને તાપીના અંતરિયાળ ગામોમાં હવે ખેતી માત્ર ચોમાસા પર આધારિત નથી. હવે સૌર ઊર્જાએ અહીંના ધરતીપુત્રો માટે આશાનું કિરણ બનીને આવી છે
ØPM-KUSUMહેઠળ ગુજરાતમાં ૬૯૫ મેગાવોટ ક્ષમતાના ૨૫૬ સોલાર પાવર પ્લાન્ટ કાર્યરત. અંદાજે ૨.૯૭ લાખ ખેતીવાડી પંપનું સોલારાઇઝેશન
PM-KUSUMયોજના ખેડૂતોને ઊર્જા,જળસુરક્ષા પૂરી પાડવા ઉપરાંત ડીઝલના વપરાશમાં ઘટાડો કરી પર્યાવરણ સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે : ઋષિકેશ પટેલ,ઊર્જા મંત્રી,ગુજરાત
એક સમય હતો જ્યારે ડાંગના ઉમરપાડા ગામના ખેડૂત રામુભાઈ વાઘમારે માટે વરસાદ જ જીવનનો આધાર હતો. ચોમાસું સારું જાય તો પાક થાય,નહીંતર આખું વર્ષ મુશ્કેલીમાં પસાર થતું. સિંચાઈ માટે રાત્રે ખેતરોમાં જવું પડતું,વીજળીની અનિશ્ચિતતા અને પાણીની અછત એ વરવી વાસ્તવિકતા હતી. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે.
તેમના ખેતરમાં સ્થાપિત સોલાર પંપ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સતત પાણી પૂરું પાડે છે. હવે ખેતીની સિંચાઈ માટે રાતના ઉજાગરા કરવા પડતાં નથી. હવે વરસમાં એકથી વધુ પાક લઈ શકાય છે.
આ પરિવર્તનની પાછળ છે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવમ્ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM)યોજના,જે ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં વિકાસનો નવો અધ્યાય લખી રહી છે.
રાજ્યમાં હાલમાં ૨૧ હજારથી વધુ સોલાર વોટર પંપ કાર્યરત છે. નર્મદા,ડાંગ અને તાપી જેવા જિલ્લાઓમાં હજારો ખેડૂતો હવે ડીઝલના ખર્ચ,વીજળીની અનિશ્ચિતતા અને વરસાદની મર્યાદાઓથી મુક્ત બની રહ્યા છે.
તાપીના ગવાણ ગામના ગાવજીભાઈ વસાવા કહે છે કે પહેલાં ખેતી માત્ર ચોમાસા પૂરતી સીમિત હતી. આજે સોલાર પંપની મદદથી વર્ષ દરમિયાન ખેડૂત એકથી વધુ પાક લઈ શકે છે. અહીં ધરતીપુત્રો ખેતરમાં ઘાસચારો ઉગાડી પશુપાલન થકી વધારાની આવક પણ પણ મેળવે છે.
નર્મદા જિલ્લાના જૂના મોસદા ગામના ઈશ્વરભાઈ વસાવા માટે તો આ યોજના જીવન બદલનારી સાબિત થઈ છે. એક સમય એવો હતો જ્યારે ખેતીમાંથી પૂરતી આવક ન મળતા રોજગારી માટે શહેરોમાં મજૂરી અર્થે જવું પડતું,પણ હવે તે વર્ષમાં ત્રણ પાક લઈ શકે છે અને તેમના પરિવારની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે.
આ યોજનાની સફળતા માત્ર ખેડૂતોના અનુભવોમાં જ નહીં,પરંતુ તેના વ્યાપમાં પણ દેખાય છે.

