ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે પોતાની બીજી મેચ માટે દિલ્હી પહોંચી ગઈ છે. ભારત અને નામિબિયા વચ્ચે T20 વર્લ્ડ કપની મેચ ગુરુવારે (12 ફેબ્રુઆરી) દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે નામીબિયા સામે T20 વર્લ્ડ કપની મેચ પહેલા સમગ્ર ટીમ માટે ખાસ ડિનરનું આયોજન કર્યું હતું. ભારતે તેની પ્રથમ મેચમાં અમેરિકાને 29 રને હરાવીને ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત નોંધાવી હતી.
ભારતીય ટીમના ખેલાડીઓ અને સભ્યોએ રવિવારે સાંજે ડિનરમાં હાજરી આપી હતી, જેમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ પણ હાજર હતા. બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પણ ગંભીરના ઘરે પહોંચ્યા હતા અને આ પ્રસંગે હાજરી આપી હતી.
અમેરિકા સામેની મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. જોકે, બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પાવરપ્લેમાં જ ટીમે 4 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, સુકાની સૂર્યકુમાર યાદવે એક છેડો પકડી રાખ્યો હતો અને 84 રનની અણનમ ઇનિંગ રમીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. જવાબમાં બોલિંગમાં તાકાત દેખાડનારી અમેરિકન ટીમ બેટિંગમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નહોતી. અમેરિકાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા હતા.
બુમરાહની ગેરહાજરીમાં, મોહમ્મદ સિરાજ પાછો ફર્યો, જેણે જુલાઈ 2024 માં ભારત માટે છેલ્લી આંતરરાષ્ટ્રીય T20 મેચ રમી હતી. તે પાછો ફર્યો કે તરત જ તેણે પાવરપ્લેમાં બે વિકેટ લઈને પ્રભાવ પાડ્યો અને મેચના છેલ્લા બોલ પર અમેરિકાના ટોપ સ્કોરર શુભમ રાંજનેને પણ આઉટ કર્યો. 29 રનમાં ત્રણ વિકેટ લઈને સિરાજે અને બુમરાહની વાપસી બાદ પણ પોતાનું સ્થાન જાળવી રાખવાનો મજબૂત દાવો કર્યો હતો. સૂર્યકુમારે કહ્યું કે, “હવામાનના કારણે તેને (બુમરાહ) ખૂબ તાવ હતો.” જેની અસર મુંબઈમાં પ્રથમ મેચ પહેલા અભિષેક શર્મા પર પણ થઈ હતી.

