વર્ષ ૨૦૨૬માં ૨૭૪ આમ કુલ ૧૫૨૫ જેટલા મકાનોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધી જી.પી.એમ.સી. એક્ટની કલમ-૨૬૪ હેઠળ નોટિસ આપવામાં આવી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલ ભયજનક તથા જર્જરિત મકાનોને લઈને જરૂરી ચેતવણી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ સરકારી, અર્ધસરકારી, ખાનગી, વ્યક્તિગત તેમજ ધાર્મિક ટ્રસ્ટોના મકાનોની નિયમિત ચકાસણી દરમિયાન વરસાદી ઋતુને ધ્યાનમાં રાખી ભયજનક હાલતમાં આવેલા મકાનો અંગે નાગરિકોની સલામતી માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા છે.
મકાનના ભયજનક અથવા જર્જરિત ભાગો તાત્કાલિક ધોરણે ઉતારી લેવા, જરૂરી રિપેરિંગ કરવા તેમજ કોઈ અકસ્માત સર્જાય નહીં તે માટે મકાન માલિકો, કબ્જેદારો અને સંબંધિત વ્યક્તિઓને ચેતવણી આપવામાં આવી છે. જો કોઈ મકાનનો ભયજનક ભાગ પડી જવાથી જાનમાલને નુકસાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત મકાન માલિક, કબ્જેદાર અથવા જવાબદાર વ્યક્તિની રહેશે તે બાબત પણ AMC દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે.
મધ્ય ઝોન વિસ્તારમાં વર્ષ ૨૦૨૬ દરમિયાન કુલ ૨૭૪ ભયજનક મકાનો અંગે સર્વે હાથ ધરાયો હતો. આ ભયજનક હાલતમાં આવેલા મકાનોના જોખમી ભાગો ઉતારવા તથા મકાન રિપેર કરવા માટે પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા ધી જી.પી.એમ.સી. એક્ટની કલમ-૨૬૪ હેઠળ નોટિસ આપવામાં આવી હતી. જેમાં ખાડિયા વોર્ડના ભયજનક મકાનોના માલિકો, કબ્જેદારો અને જવાબદાર વ્યક્તિઓને નોટિસ પાઠવવામાં આવી છે.
તેમજ વર્ષ ૨૦૨૩ થી વર્ષ ૨૦૨૫ સુધી કુલ ૧૨૫૧ તથા વર્ષ ૨૦૨૬માં ૨૭૪ આમ કુલ ૧૫૨૫ જેટલા મકાનોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધી જી.પી.એમ.સી. એક્ટની કલમ-૨૬૪ હેઠળ નોટિસ આપવામાં આવી હતી. આવા ભયજનક મકાનોના માલિકોને મકાનના જોખમી ભાગોને ઉતારવા, રિપેરિંગ કરવા અને નોટિસ મુજબ કાર્યવાહી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે ભયજનક જાહેર કરાયેલા મકાનોમાં પ્રવેશ ન કરે, ત્યાં રહેવાનું ટાળે તેમજ આવા મકાનોનો કોઈપણ પ્રકારનો ઉપયોગ ન કરે. ઉપરાંત આસપાસ રહેતા નાગરિકોએ પણ પૂરતી તકેદારી રાખી પોતાની સલામતી જાળવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
