Ahmedabad Plane Crash Investigation: ૧૨ જૂન ૨૦૨૫ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાના બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર ક્રેશની તપાસ હજુ ચાલુ છે, પરંતુ ઇટાલીના એક અખબાર ‘ડેલી કોરિયરે ડેલા સેરા’એ આ અકસ્માતમાં બોઇંગ કંપનીને ક્લીનચીટ આપવાનો પ્રયાસ કર્યો છે. ઇટાલિયન અખબારના રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ અકસ્માત કોઈ ટેકનિકલ ખામીને કારણે થયો ન હતો, પરંતુ જાણીજોઈને એન્જિનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ બંધ કરવામાં આવ્યા હતા. નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે થયેલી વાતચીતના આધારે અખબારે આ દુર્ઘટના માટે પાયલટ સુમિત સભરવાલ તરફ ઈશારો કર્યો છે.
ગયા વર્ષે ૧૨ જૂને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડી સેકન્ડો બાદ જ એર ઇન્ડિયાની ફ્લાઇટ ૧૭૧ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. પ્લેન મેડિકલ કોલેજની એક હોસ્ટેલ પર પડ્યું હતું. આ અકસ્માતમાં પ્લેનમાં સવાર ૨૪૧ મુસાફરો સહિત ૨૬૦ લોકોના મોત થયા હતા. માત્ર વિશ્વાસકુમાર રમેશ જ એક એવા નસીબદાર મુસાફર રહ્યા જે દુર્ઘટનામાં સુરક્ષિત બચી ગયા. આ બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર વિમાન હતું. ઘટના બાદ પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે એન્જિનમાં ફ્યુઅલ કટ ઓફ થવાને કારણે આ દુર્ઘટના થઈ. ત્યારબાદ એ સવાલો ઉઠવા લાગ્યા કે ફ્યુઅલ કટ ટેકનિકલ કારણોસર થયું કે કોઈએ જાણીજોઈને કર્યું. ફ્લાઇટમાં પાયલટ ઇન કમાન્ડ કેપ્ટન સુમીત સભરવાલ હતા, જ્યારે ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર કો-પાયલટ હતા.
DGCA હજુ તપાસ કરી રહ્યું છે
અમદાવાદ પ્લેન અકસ્માતની તપાસ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) કરી રહ્યું છે અને તેનો રિપોર્ટ હજુ આવ્યો નથી. પરંતુ ઇટાલિયન ડેલી ‘કોરિયરે ડેલા સેરા’એ નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે થયેલી વાતચીતના આધારે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર દુર્ઘટના એન્જિનમાં ફ્યુઅલ કટ-ઓફ બાદ થયેલ ક્રેશ કોઈ મિકેનિકલ ખામીને કારણે થયું નથી. રિપોર્ટમાં એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા જારી કરાયેલ કોકપિટમાં થયેલી છેલ્લી વાતચીતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. કોકપિટના વોઇસ રેકોર્ડિંગમાં એક પાયલટને એ પૂછતા સાંભળવામાં આવ્યો કે ‘તેં ફ્યુઅલ કેમ બંધ કર્યું?’ બીજાએ જવાબ આપ્યો, ‘મેં આવું નથી કર્યું.’ બ્લેક બોક્સ ડેટાના ટેકનિકલ એસેસમેન્ટમાં પણ મિકેનિકલ ખામીને બદલે સ્વીચને મેન્યુઅલી બંધ કરવા તરફ ઈશારો કરવામાં આવ્યો છે કારણ કે અકસ્માત સમયે બંને એન્જિન બંધ થઈ ગયા હતા.
દાવો: પાયલટોમાંથી એકે એન્જિનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ બંધ કર્યા
ઇટાલિયન ડેલી અનુસાર, તપાસકર્તાઓએ દાવો કર્યો છે કે પાયલટોમાંથી એકે એન્જિનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ બંધ કરી દીધા હતા, જેનાથી એરક્રાફ્ટની પાવર જતી રહી અને તે જમીન પર પડ્યું. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી, પરંતુ મુખ્ય શંકાસ્પદ કેપ્ટન સુમિત સભરવાલ છે, જેઓ અંગત બાબતોને કારણે ડિપ્રેશનથી પીડાતા હતા. જણાવી દઈએ કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોનો પ્રારંભિક તપાસ રિપોર્ટ પાયલટ એસોસિએશન અને સુમિત સભરવાલના પિતા નકારી ચુક્યા છે. કોરિયરે ડેલા સેરા મુજબ, ફાઈનલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટમાં પાયલટોના સતત સાયકોલોજિકલ ઇવેલ્યુએશન અને મેન્ટલ હેલ્થ મોનિટરિંગ પર સૂચન પણ આપવામાં આવ્યું છે.

