પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ વધુને વધુ લોહિયાળ બની રહ્યો છે. ગુરુવારે રાત્રે અફઘાનિસ્તાનના વળતા હુમલા બાદ પાકિસ્તાન તરફથી પણ વારંવાર હુમલા કરવામાં આવ્યા હતા. હવે આ હુમલાઓ અંગે પાકિસ્તાની સેનાએ કહ્યું કે ગુરુવારે રાત્રે અને શુક્રવારે વહેલી સવારે અફઘાનિસ્તાનના 22 સૈન્ય મથકો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં લગભગ 274 તાલિબાન લડવૈયાઓ માર્યા ગયા હતા. આ સાથે પાકિસ્તાની સેનાએ સ્વીકાર્યું કે આ યુદ્ધમાં ઓછામાં ઓછા 12 પાકિસ્તાની સૈનિકોએ પણ જીવ ગુમાવ્યો હતો. બીજી તરફ, તાલિબાને દાવો કર્યો છે કે તેમના હુમલામાં લગભગ 55 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે.
પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે સમગ્ર ઓપરેશન વડાપ્રધાન શાહબાઝ શરીફના ગાઈડલાઈન પર કરવામાં આવી રહ્યું છે. આમાં અત્યાર સુધીમાં 274 અફઘાન લડવૈયાઓ માર્યા ગયા છે, જ્યારે પાકિસ્તાને પણ તેના 12 સૈનિકો ગુમાવ્યા છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ અફઘાન તાલિબાનને ચૂંટણી યોજવા પણ કહ્યું હતું. તેમણે કહ્યું, “હું એક વાત ખૂબ જ સ્પષ્ટપણે કહેવા માંગુ છું. અફઘાન તાલિબાને પસંદગી કરવી પડશે કે શું TTP, BLA, Daesh, અલ કાયદા જેવા આતંકવાદી સંગઠનો સાથે રહેવું કે પાકિસ્તાન સાથે. પાકિસ્તાને અગાઉ પણ આ સ્પષ્ટ કર્યું છે.”
આજે પાકિસ્તાન તાલિબાનને આતંકવાદી સંગઠનો અને ઈસ્લામાબાદ વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ આપી રહ્યું છે. પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે આ પાકિસ્તાન સુન્ની ઉગ્રવાદને પોષવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. પાકિસ્તાને સોવિયત અને અમેરિકન હુમલા દરમિયાન તાલિબાન લડવૈયાઓને પણ આશ્રય આપ્યો હતો. જ્યાં સુધી અલ કાયદાની વાત છે તો ઓસામા બિન લાદેન પાકિસ્તાની આર્મી કેમ્પ પાસે માર્યો ગયો હતો.
અગાઉ, પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફના કાર્યાલયમાંથી જારી કરાયેલા એક નિવેદનમાં, તેમને ટાંકવામાં આવ્યા હતા, “ફિતના-અલ-ખાવરિજ અને અફઘાન તાલિબાન વચ્ચેની મિલીભગત અને તેમની દૂષિત પ્રવૃત્તિઓ પ્રત્યે શૂન્ય સહનશીલતા હોવી જોઈએ. અફઘાન તાલિબાન અને ફિતના-અલ-ખાવરિજ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અસ્વીકાર્ય છે.” તેમણે કહ્યું કે પાકિસ્તાનની સશસ્ત્ર દળો, સંરક્ષણ દળોના વડા અને આર્મી સ્ટાફના વડા ફિલ્ડ માર્શલ અસીમ મુનીરના નેતૃત્વમાં, દેશની રક્ષા માટે દરેક સમયે તૈયાર છે. પાકિસ્તાન જાણે છે કે કોઈપણ હુમલા સામે પોતાનો બચાવ કેવી રીતે કરવો. પાકિસ્તાની સેના ઉપરાંત વિદેશ મંત્રાલયે પણ આ મામલે નિવેદન જારી કરીને કહ્યું છે કે હવે જો અફઘાન તાલિબાન વધુ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

