સરકારના સામાન્ય વહીવટ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા સિક્યોરિટીના બહાનાં હેઠળ સરદાર ભવન સચિવાલયમાં પ્રવેશના નિયમો એટલાં જડ અને કડક બનાવી દેવાયા છે કે સૌને એવું લાગે કે નવાં આ સચિવાલય સામાન્ય નાગરિક માટે નથી!
તેનું કારણ એ છે કે સામાન્ય માણસનું વાહન ગણાય એવી જાહેર રીક્ષાને સચિવાલયમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.
પરીણામે પોતાના વાહનની સુવિધા ન ધરાવતો કોઈ વ્યક્તિ સચિવાલયમાં આવી જ ન શકે! અને જો આવે તો મુખ્ય પ્રવેશદ્વારથી હજારો મીટર દુર આવેલા સચિવાલયના વિવિધ વિભાગોમાં જવા માટે તેણે પગે ચાલીને જવું પડે.

જેની માટે અગાઉ બહુ બણગાં ફૂંકાયેલા એ પગપાળા આવતા મુલાકાતીઓની સુવિધા માટે રાખવામાં આવેલું ઈલેક્ટ્રોનિક વાહન સચિવાલયના મુખ્ય બે દરવાજા નંબર -૧ કે નંબર -૪ પાસે ક્યારેય દ્રષ્ટિગોચર થતું નથી.જે સૂચવે છે સરદાર ભવન સચિવાલય સામાન્ય લોકો માટે નથી!
કલેક્ટર હો તો મેહુલ કે. દવે જૈસા હો!
તા.૩/૨/૨૪થી ગાંધીનગરના કલેક્ટરપદે નિમાયેલા અને બે વર્ષ બાદ તા.૨૮/૨/૨૬ના દિવસે એ જ પદ પરથી વયનિવૃત થયેલા જિલ્લા કલેકટર મેહુલ કે.દવે વહીવટકાર તરીકે ગાંધીનગર પર એક અમિટ છાપ છોડીને ગયા છે.

અપરિમિત સંવેદનશીલતા,ભરપૂર વહીવટી સૂઝ ધરાવતા અને જમીન પર રહીને જીવનારા મેહુલ દવે નાના લોકોનાં (સાચા અર્થમાં)મોટા સાહેબ હતા.
હસમુખા સ્વભાવના આ કલેક્ટર માનસિક રીતે વિકલાંગ બાળકોના ગરબામાં હાજરી આપીને તેમને ય રાજી કરે અને ગ્રામીણ વિસ્તારમાં પ્રવાસ કરતી વખતે જો ગ્રામજનો નીચે જમીન પર બેઠા હોય તો આ જમીની કલેક્ટર મેહુલ દવે પણ જમીન પર પણોઠી વાળીને બેસી જાય અને ગામડાના લોકો સાથે આત્મીયતાથી અને તેમની ભાષામાં જ વાત કરે.
રાજ્ય સરકારની લોકલક્ષી અને લોકહિતકારી તમામ યોજનાઓ ગાંધીનગર જિલ્લામાં પૂર્ણ રીતે કાર્યાન્વિત થાય તેની તકેદારી અને ચિંતા મેહુલ દવે સતત રાખતા અને એ સાથે જ આંગણવાડીના બાળકોને વાર્તા કહેવા પણ આ માનવતાવાદી કલેક્ટર બેસી ગયાના કિસ્સા જિલ્લામાં નોંધાયા છે.કલેકટરશીપ એ સત્તા ભોગવવાની કે જલસા કરવાની જગ્યા નથી પણ જનતાના એક અદના સેવક તરીકે ફરજ બજાવવાની જગ્યા છે

